બોટાદના જાળીલા ગામે દલિત સરપંચની હત્યાની શંકા :પોલીસ રક્ષણ નહિ મળ્યાનો જીજ્ઞેશ મેવાણીનો આરોપ
સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું
બોટાદ :બોટાદના જાળીલા ગામે સરપંચની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું પરંતુ પોલીસ રક્ષણ મળ્યું ન હતું.તેવો આક્ષેપ થઇ રહ્યો છે
આ અંગેની વિગત મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા સરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ થઇ છે. ઘટના સ્થળેથી સરપંચનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છેપોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે.
બીજી બાજુ મૃતક સરપંચના પરિવારજનોએ કેટલાક વીડિયો રજૂ કર્યા છે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યાં છે, આ નિવેદનમાં તેઓએ જણાવ્યું કે તેના પર ગામના જ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કાર વડે તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો હતો
દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે મૃતક દલિત સરપંચે રાજ્યના DGPને રૂબરુ મળી પોલીસ રક્ષણ માટે રજૂઆત કરી હતી, જો કે તેઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું ન હતું. મૃતક મનજીભાઇના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીએ મોટી સંખ્યામાં દલિત કાર્યકર્તાઓને સિવિલ હોસ્પિટલ હાજર રહેવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીના વરસડા ગામના સરપંચ જયસુખ કાનજી માધડની અજાણ્યા શખસો દ્વારા છરી પાઇપથી હુમલો કરીને હત્યા થતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, દલિત સરપંચની જાહેરમાં હત્યા કરી દેવામાં ચકચાર મચી હતી, આ મુદ્દો છેક વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.