ઉદયપુર પાસે અકસ્માતમાં સુરેન્દ્રનગરના સોની પરિવારના ૨ બાળકોના મોત
કાર ગુંલાટ મારીને ૧૫ ફૂટ ઉંડા ખાડામાં ખાબકી : માતા - પિતા સહિત ૪ને ઇજા
વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર શહેરના - સોની પરિવાર ફરીને ઉદેપુરથી પરત આવતા સમયે ઉદેપુરથી પાલનપુર રોડ ઉપર ફોરલેન રસ્તા ઉપર મોરસના વણાંક પાસે સોની પરિવારની કાર ચાર ગુલાટ ખાઇને ૧૫ ફુટ ઉંડી ખાઇમાં ખાબકતા બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે ચાર વ્યકિતઓ ઘાયલ થયા છે. આ બનાવથી સોની પરિવારમાં ભારે અરેરાટી છવાઇ છે.જાણવા મળતી વિગતો અનુસાર વિશાલ ઘનશ્યામભાઇ સોની એમના પત્ની અમીબેન અને બે બાળકો પુત્ર દેવ અને રતન તેમજ નિકેશભાઇ અને પ્રફુલભાઇ તેમના પત્ની મોનાબેન ઉદેપુરથી પિડવાડા તરફ આવી રહ્યા હતા. મોરસ પાસેના વણાંકમાં પુરપાટ જતી કારના ચાલક નિકેશભાઇએ કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ચાર ગુલાટ મારી જતા ૧૫ ફુટ ખાઇમાં ખાબકેલ હતી. જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે અને કાર કાટમાળમાં ફેરવાતા ઇજાગ્રસ્તો અને બે બાળકોના મૃતદેહને કટર વડે કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. બે બાળકોના મોત નિપજતા સોની પરિવાર ઉપર વ્રજઘાત પડયો છે. સુરેન્દ્રનગરથી મૃતદેહનો કબ્જો સંભાળવા માટે સોની પરિવાર રવાના થયો છે.