ગુજરાત
News of Monday, 20th May 2019

રાજયની તમામ ર૬ બેઠકો પર ભાજપનો વિજય વાવટોઃ રૂપાણી

ર૦૧૪ થી ર૦૧૯ દરમ્યાન નરેન્દ્રભાઇની કામગીરીથી લોકોનો વિશ્વાસ વધુ વધ્યો છેઃ ઇમાનદારી, નિર્ણાયકતા, પાકિસ્તાનને જવાબ તથા દુનિયામાં ભારતનું નામ મોદીજીએ રોશન કર્યુ છેઃ મુખ્યમંત્રી

રાજકોટ તા. ર૦ :.. લોકસભા ચૂંટણીના અંતિમ તબકકાનું મતદાન પણ સંપન્ન થતાની સાથે જ વિવિધ સર્વે એજન્સીઓ ત્થા ન્યુઝ ચેનલો દ્વારા ઓપીનીયન પોલ જાહેર થતા તમામમાં ભાજપનો વિજય વાવટો લહેરાતો જોવા મળતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે દેશવાસીઓનો પ્રેમ, વિશ્વાસ અને ભરોસો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં વધ્યો છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઇ મોદીમાં મજબુત વિશ્વાસ મુકયાના તારણોથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતવાસીઓમાં પોતાના નરેન્દ્રભાઇમાં પ્રેમ ભરોસો અને વિશ્વાસ વધ્યાની સાથે ર૦૧૪ થી ર૦૧૯ દરમ્યાન ગરીબો, મધ્યમ વર્ગના લોકો માટે મોદી સરકારે અને ગુજરાત સરકારે અમલમાં મુકેલ અનેકવિધ યોજનાથી લોકોનો ભરોસો વધ્યો છે.

તેમના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીમાં મુખ્યમુદો એ રહ્યો કે દેશ કોના હાથમાં સલામત છે. દેશના વડાપ્રધાન કેવા હોવા જોઇએ.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ દેશમાં ઇમાનદાર, પ્રમાણીક અને નિર્ણાયક વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને દેશવાસીઓએ સ્વિકાર્યા છે.

પાકિસ્તાન જેવા દેશને કેવો જવાબ આપવો જોઇએ. અને કોણ જવાબ આપી શકે તે ર૩ મીના પરિણામો સ્પષ્ટ કરી દેશે.

મુખ્યમંત્રી રૂપાણીના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાભરમાં પાકિસ્તાનને ખુલ્લુ પાડયુ છે અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યુ છે.

તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં તમામ ર૬ લોકસભા બેઠક પર ભાજપનો વિજય વાવટો લહેરાશે.

(11:40 am IST)