ગુજરાત
News of Saturday, 20th April 2019

દેશની સુરક્ષાની સાથે કોઇ પણ બાંધછોડ કરાશે નહીં : વાઘાણી

ભાવનગરમાં વિજય વિશ્વાસ સંપર્ક યાત્રા થઇ : ત્રાસવાદ અને નક્સલવાદ સામે મોદી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કઠોર જવાબ આપી રહ્યા છે : વાઘાણી

અમદાવાદ,તા.૨૦ : આજરોજ ૧૫-ભાવનગર લોકસભા બેઠક અંતર્ગત ભાવનગર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર ભારતી શિયાળ સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો રોડ-શો યોજાયો હતો., આ રોડ-શો દરમ્યાન જુદા-જુદા સ્થળોએ વિવિધ સમુદાયના લોકોએ પુષ્પવર્ષા દ્વારા વાઘાણીનું અભિવાદન કર્યુ હતુ. શહેરની બંને વિધાનસભાના મુખ્યમાર્ગો પર આ રોડ-શો સંપર્ક યાત્રામાં હજારોની સંખ્યામાં મોટરસાઇકલ સવાર યુવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને સ્વયંભૂ જનમેદની રાષ્ટ્રભક્તિના માહોલમાં જોડાયા હતા. આ વિજય વિશ્વાસ સંપર્કયાત્રા જ્વેલર્સ સર્કલથી શરૂ થઇ મેઇન ખારગેટ ખાતે પૂર્ણ થઇ હતી. અનેરા જોશ, ઉત્સાહ અને ઉમંગ વચ્ચે કેસરીયા ધ્વજા-પતાકા અને કેસરીયા સાફામાં સજ્જ હજારો કાર્યકર્તાઓના વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે ભાજપાનો વિજય નિશ્ચિંત કરતી આ રેલી ઐતિહાસિક બની હતી. લોકસંપર્ક (રોડ-શો)ના સમાપન બાદ જનસભાને સંબોધતા વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આ એક રેલી નહીં પરંતુ વિશાળ જનમેદનીનો રેલો સાબિત થશે. આવી કાળઝાળ ગરમીમાં પણ આપસૌ વિશાળ સંખ્યામાં આ લોકસંપર્ક યાત્રામાં સામેલ થયા છો તે બદલ હું આપ સૌને વંદન કરું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં ભાજપાનો ચૂંટણીરથ પ્રચંડ સમર્થન સાથે આગળ વધી રહ્યો છે. ૨૦૧૪ બાદ કેન્દ્રમાં ભાજપની સરકારે દેશના નાગરિકોની સુખાકારીને લક્ષ્યમાં રાખીને જે હિતકારી નિર્ણયો લીધા છે તેને લઈને સમગ્ર ભારતભરમાં પ્રજા દ્વારા ભાજપાને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.  આ જંગી રેલી દ્વારા ભાવનગર પણ સમર્થનની આ સુનામીમાં સામેલ થઇ ગયુ છે. નરેન્દ્ર મોદી દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જનનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે, જેના વિચારોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાય છે, ભાજપ હંમેશા જ્ઞાતિજાતિ, ધર્મથી પર રહીને ''સબકા સાથ સબકા વિકાસ''ના મૂળમંત્ર સાથે પ્રજાલક્ષી અભિગમ કેળવીને પ્રજા વચ્ચે જાય છે, ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું, ભરમાવવાનું કામ કરી રહી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ ગરીબ-શોષિત-પીડિત-મધ્યમ એમ તમામ વર્ગના લોકોને નજર સમક્ષ રાખીને અનેક કલ્યાણકારી પગલાં લીધા છે, સાથે સાથે દેશની સુરક્ષા અને અખંડિતતા માટે જરા પણ બાંધછોડ કર્યા વીના ત્રાસવાદ-નકસલવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હું સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે ભ્રમણ કરી રહ્યો છું, મને લોકોના પ્રતિસાદ અને જનસમર્થનમાં નરેન્દ્ર મોદી પ્રત્યેનો લોકોનો પ્રેમ ઉડીને આંખે વળગે છે. ચારે બાજુ મોદી...મોદી...ના નારા બુલંદ બન્યા છે.

(9:46 pm IST)