સુરતમાં આજના યુગનો શ્રવણ દાદીને હાથમાં ઉંચકીને સિવિલમાં સારવાર માટે લાવ્યો
સુરત:આજના યુગમાં ભાગ્યે જ એવા વ્યક્તિ જોવા મળે છે કે જે પોતાના માતાપિતા કે પરિવારના સભ્યોને ઉચકીને સારવાર કે કામ અર્થે લઈ જતા હોય. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આજના યુગનો શ્રવણ વયોવૃધ્ધાને હાથમાં ઉંચકીને સારવાર માટે લાવ્યો હતો. જોકે, તંત્રની લાલીયાવાડીને કારણે તેને સ્ટ્રેચર કે વ્હીલચેર નહી ફાળવાતા કાળઝાળ ગરમીમાં આ યુવાનની હાલત પણ કફોડી બની હતી.
નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઉમરવાડા ખાતે સાંઇ મેડિકલ નજીકમા રહેતા ૬૫ વર્ષીય જેતુનબેન શેખ કમરૂદ્દીન શેખ અઠવાડિયા પહેલા ઘરમાં પડી જતા કમરના ભાગે ઇજા થતા સિવિલમાં સારવાર બાદ તેમને રજા અપાઇ હતી. કાલે રાતે ફરી દુઃખાવો ઉપડતા તેમનો ૩૦ વર્ષીય પૌત્ર કરીમ શેખ આજે સવારે તેમને સિવિલના ટ્રોમા સેન્ટરમાં લઇ આવ્યા હતા. ડોકટરે એક્સ-રે કરાવવા કહેતા વિભાગમાં લઇ જવા માટે પૌત્રએ સ્ટ્રેચર કે વ્હીલચેર અંગે પુછપરછ કરી અને આમતેમ શોધખોળ કરી હતી.