ગુજરાત
News of Saturday, 20th April 2019

અલ્પેશ ઠાકોરનો ધડાકો

૧૪ પાટીદારોના મોત માટે હાર્દિક જવાબદાર

અમદાવાદ, તા.૨૦: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં શુક્રવારે એક સભામાં તરૂણ ગજ્જર નામના યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો.

સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક જાહેરસભા હતી. ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે કોંગ્રેસથી છેડો ફાડનાર અને એક સમયે હાર્દિક પટેલના મિત્ર અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલને શાંતી રાખવાની સલાહ આપી છે જયારે ૧૪ પાટીદારોના મોત માટે હાર્દિક પટેલને જ જવાબદાર ગણાવ્યો છે.

હુમલા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. જે યુવકે હુમલો કર્યો હતો એને પણ હું વખોડું છું, ત્યારબાદ યુવકને માર મરાયો તેને પણ વખોડું છું. રાજનીતિનું સ્તર કઇ જગ્યાએ અને કેટલી હદ સુધી નિમ્ન કક્ષાએ જઇ રહ્યું છે એ આ બતાવે છે. જાહેર મંચ ઉપર બનેલી આ પ્રકારની ઘટનાને વખોડું છું.

અલ્પેશે જણાવ્યું હતું કે, આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગી, મોલો તૂટ્યા. આ હીંસામાં ૧૪ લોકોના મોત થયા છે એનું દુઃખ હોવું જોઇએ.

૧૪ લોકોના મોતની જવાબદારી કોની એ અંગે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, આંદોલકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે, ૧૪ લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.

(10:05 am IST)