અમદાવાદની ઘટના
વૃક્ષની ડાળી કાપવા મંજુરી લેવાઇ ન્હોતીઃ સોસાયટીને થયો રૂ. ૧૦,૦૦૦નો દંડ
અમદાવાદ, તા.૨૦: શહેરના બોડકદેવ વિસ્તારના રહીશે પોતાની જ સોસાયટીવાળાઓ સામે ફરિયાદ કરવા માટે RTI (રાઈટ ટુ ઈન્ફર્મેશન)નો ઉપયોગ કર્યો. સોસાયટીના સભ્યોએ કંપાઉન્ડમાં ઉગાડેલા આસોપાલવના બે ઝાડની ડાળીઓ કાપતાં RTI કરી. RTIમાં જવાબ મળ્યો કે, બે ઝાડની ડાળીઓ કાપતાં પહેલા મંજૂરી લેવાઈ નહોતી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોસાયટીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો.
સપ્ટેમ્બર ૨૦૧૮માં સોસાયટીના પાછળના ભાગમાં ઉગાડેલા આસોપાલવ નિસ્તેજ લાગતા હતા કારણકે પક્ષીઓ જયાં માળો બાંધતા હતા તેમાંની કેટલીક ડાળીઓ કાપી નંખાઈ હતી. આ જોઈને RTI કરનાર ૬૮ વર્ષના જે. એન. મદલાની દુઃખી થઈ ગયા. ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશનમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત્િ। લેનારા મદલાનીએ આ અંગે કોલાહલ કરીને નહીં પરંતુ શાંતિથી લડત આપવાનો નિર્ણય કર્યો. તેમણે AMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંRTI કરી જેથી જાણી શકાય કે ડાળીઓ કાપતાં પહેલા મંજૂરી લેવાઈ હતી કે નહિ. આ ઘટના વાલ્કમિકી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિભાગ-૨, જે ગોયલ ટેરેસ તરીકે ઓળખાય છે ત્યાંની છે.
ઝાડની જે ડાળીઓ પર કથિત રીતે પક્ષીઓના માળા હતા તેને કાપવા બદલ કેટલો દંડ થાય તે જાણવા મદલાની મક્કમ હતા. વાઈલ્ડ લાઈફ (પ્રોટેકશન) એકટ, ૧૯૭૨ મુજબ, પક્ષીઓના માળા કે ઈંડા અથવા શિકારની કેટેગરીમાં આવતા સરિસૃપ પ્રાણીઓને ખલેલ પહોંચાડનારને ગુનાની ગંભીરતાને આધારે ૩ વર્ષ સુધીની જેલ અને નાણાંકીય દંડ કરવામાં આવે છે. ૨૯ જાન્યુઆરીના રોજ AMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટે સોસાયટીના હોદ્દેદારોને નોટિસ મોકલી. જેમાં દરેક ઝાડ પેટે ૫૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો. મતલબ, ગેરકાયદેસર રીતે બે ઝાડની ડાળીઓ કાપવા બદલ સોસાયટીને ૧૦,૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો.
જે.એન. મલદાનીએ જણાવ્યું, 'સોસાયટીના હોદ્દેદારોના ઝાડની ડાળીઓ કાપવાના નિર્ણયથી હું દુઃખી હતો. કોઈને નુકસાન પહોંચાડતા વૃક્ષને શા માટે હાનિ પહોંચાડવી જોઈએ, આ વિચારીને મને લાગી આવ્યું એટલે જ મે RTIનો રસ્તો પસંદ કર્યો. અંતે સોસાયટીને દંડ કરવામાં આવ્યો છે તે વિશે જાણ થઈ.' દર મહિને ખ્પ્ઘ્ પાસે ઝાડની ડાળીઓ કાપી નાખ્યાની ૧૦-૧૨ ફરિયાદ આવે છે જયારે વૃક્ષનું નિકંદન કર્યાની ૫-૬ ફરિયાદ મળે છે. AMCના બગીચા વિભાગના ડિરેકટર જિજ્ઞેશ પટેલે કહ્યું, 'સામાન્ય રીતે લોકો રજાઓ દરમિયાન ઝાડની ડાળી કે ઝાડ જ પાડી નાખે છે. જાહેર રજાઓના દિવસે કોર્પોરેશનની ઓફિસ બંધ હોય એટલે તેમને લાગે છે કે ડાળીઓ કે ઝાડ કાપીને તેઓ બચી જશે.'