આણંદમાં મધ્યરાત્રીના સુમારે તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવી:હજારોની મતાની તસ્કરી કરી તસ્કરો રફુચક્કર
આણંદ: શહેરની ગોપી ટોકિઝ સામે આવેલા નારાયણ કોમ્પલેક્ષમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ બે દુકાનોને નિશાન બનાવીને શટરના તાળા-નકુચા તોડીને અંદરથી ૭૦ હજાર ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર અનીલભાઈ નારંગની નારાયણ કોમ્પલેક્ષમાં રણછોડરાય ઓટો પાટ્સ નામની દુકાન આવેલી છે. ગઈકાલે વેપારીને પેમેન્ટ કરવાનું હોય ૭૦હજાર જેટલી રોકડ રકમ લઈને આંગણીયા પેઢીમાં આપવા માટે ગયા હતા પરંતુ આંગણીયા પેઢી બંધ હોય બીજા દિવસે મોકલી આપીશુ તેમ માનીને ૭૦ હજાર જેટલી રોકડ રકમ લાવીને દુકાનના ટેબલના ડ્રોવરમા મૂકી દીધા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તેમની દુકાનના શટરના તાળા અને નકુચા તોડીને અંદર પ્રવેશ કરી ટેબલના ડ્રોવરના તાળા તોડીને અંદર મૂકેલી રોકડ રકમની ચોરી કરી લીધી હતી.