આંકલાવ તાલુકામાં પુત્રીએ પ્રેમ-લગ્ન કરતા પિતા-ભાઈએ અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ
આંકલાવ:તાલુકાના જોષીકુવા ખાતે રહેતા એક યુવક સાથે પ્રેમલગ્ન કરીને આવેલી અમદાવાદ જિલ્લાના ચાંચરવાડી ગામની યુવતીનું ગઈકાલે સાંજના સુમારે તેના પિતા અને બે ભાઈઓ દ્વારા અપહરણ કરીને લઈ જતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોષીકુવાના રોહિતવાસમાં રહેતા ધર્મેન્દ્રકુમાર જશભાઈ રોહિત અમદાવાદ ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે સાથે જ નોકરી કરતી કલાવતી નામની ૧૯ વર્ષીય યુવતી સાથે આંખ મળી જતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બન્નેએ ગત ૧૩મી તારીખના રોજ લગ્ન કરી લીધા હતા અને યુવતી જોષીકુવા ગામે રહેવા આવી ગઈ હતી. દરમ્યાન યુવતીના પિતા કરશનભાઈ ટોયાભાઈ ચૌહાણને ખબર પડતાં જ ગઈકાલે સાંજના સુમારે તેઓ પોતાના બે પુત્રો સાથે જોષીકુવા ગામે આવી ચઢ્યા હતા અને પોતાની પુત્રીને જબરજસ્તીથી પોતાની સાથે લઈ ગયા હતા. ધર્મેન્દ્રકુમારે વિરોધ કરતાં તેને આંતરડા કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.