પોલીસે માસ્કના 500 ઉઘરાવ્યા હોય તો માફ કરજો ચૂંટણીમાં એની દાઝ ન કાઢતા : ગોરધનભાઈ ઝડફિયા
લાઠી પાસેના સુપ્રસિધ્ધ મંદિર ભુરખિયા દાદાના સાનિધ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડપીયાની સભા યોજાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્રારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ત્યારે આજે લાઠી પાસે આવેલ સુપ્રસિધ્ધ મંદિર ભુરખિયા દાદાના સાનિધ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની સભા યોજાઈ હતી. આ સભામાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઊંધાડ તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
લાઠીના ભુરખિયા ખાતે એક ચૂંટણી સભા સંબોધતા ગોરધન ઝડફિયાએ ઉપસ્થિત મેદનીને જણાવ્યું હતું કે, માસ્કના નામે કદાચ પોલીસે 500 રૂપિયા તમારી પાસેથી લીધા હોય તો, અમને માફ કરજો. એનો ગુસ્સો અમારા પર ઉતારતા નહીં અને મત આપજો. તો અન્ય એક મુદ્દે બોલતા કહ્યું હતું કે અમારે હવે કોઈ કોંગ્રેસના ધારાસભ્ય ભરતી કરવા નથી. પણ જો તમે 182એ 182 ભાજપના ધારાસભ્ય જીતાવો તો.. જો એમા ઘટ પડશે તો અમે કોંગ્રેસના ધારાસભ્ય લેશું. ગોરધન ઝડફિયાએ રમુજી શૈલીમાં કહેલી આ વાતો ઘણું બધુ કહી જતી હોવાનો ગણગણાટ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.