કલોલ તાલુકામાં અગાઉ સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે 7 વર્ષની સજાની સુનવણી કરી
કલોલ: તાલુકાના એક ગામમાં રહેતી સગીરાનું પાંચ વર્ષ અગાઉ અપહરણ કરી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારનાર આરોપી સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આ કેસ ગાંધીનગર એડી.સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સાહેદો, તપાસ અધિકારી અને સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી કોર્ટે આરોપીને બળાત્કારના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને સાત હજારનો દંડ ભરવા પણ હુકમ કર્યો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાનું ગત તા.ર૮ માર્ચ ર૦૧૫ના રોજ ગામમાં રહેતો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો અને તેણીને દેવભુમિ દ્વારકાના ખેતરમાં રાખી હતી જ્યાં તેણીની મરજી વિરૂધ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે સગીરાના વાલીએ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ગાંધીનગર એડી.સેસન્સ જજશ્રી એન.સી.રાવલની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ભોગ બનનાર, સાહેદો, ડોકટર તેમજ તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. સરકાર તરફે વકીલ સુનિલ એસ.પંડયાએ દલીલો કરી, પુરાવા રજુ કરી આરોપીને સમાજમાં દાખલો બેસે તે રીતે સજા આપવા માટે માંગણી કરી હતી. જેના આધારે કોર્ટે અપહરણના ગુનામાં સાત વર્ષ, પાંચ હજારનો દંડ અને બળાત્કારના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા અને સાત હજારનો દંડ ફટકાર્યો હતો.