ભરૂચના ભરથાણામાં મકાનની દીવાલ ધરાસાયી : પાંચ લોકો કાટમાળમાં દટાયા : એકનું કરૂણમોત
દબાઈ ગયેલા લોકોની હાલત ગંભીર જણાતા તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ જિલ્લાના નબીપુર તાલુકાના ભરથાણા ગામે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સર્જાઈ હતી. સમગ્ર બનાવમાં 5 જેટલા લોકો કાટમાળ નીચે દબાઇ જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
નબીપુર તાલુકાના ભરથાણા ગામે પરમાર ફળિયામાં રહેતા એક પરિવારના કાચા મકાનની દીવાલ અચાનક ધસી પડવાનો બનાવ બન્યો હતો, ત્યારે મકાનમાં રહેતા 5 જેટલા લોકો ઉપર દિવાલ પડતાં તમામ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવી રામુ પરમાર, હરિ પરમાર, મણી પરમાર, અશોક પરમાર તથા અન્ય એક મળી પાંચેયને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. મકાનના કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોની હાલત ગંભીર જણાતા તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ગંભીર રીતે ઘવાયેલા રામુ પરમારને સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવની જાણ નબીપુર પોલીસને થતા પોલીસ કાફલો પણ દોડી આવી ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતા.