ગુજરાત
News of Tuesday, 19th January 2021

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અમીયાપુર, બોપલ અને કોટેશ્વર વિસ્તારમાં બંધાયેલ 777 આવાસોનો કોમ્પ્યુટર ડ્રો કરાયો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આડા દ્વારા બંધાયેલ ફ્લેટનો ડ્રો તેમજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી 481 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ :પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આડા દ્વારા અમીયાપુર, બોપલ તેમજ કોટેશ્વર વિસ્તારમાં બાંધવામાં આવેલા ઇડબલ્યુએસ-2ના 777 આવાસોનો કોમ્પ્યુટર ડ્રો  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. બે રૂમ, રસોડાના આ ફલેટો છે. આ ડ્રોનું પરિણામ આડાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્રારા વીડીયો કોન્ફરન્સના માધ્યમથી 481 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( આડા ) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુંડાલા ખાતે 128.02 કરોડના ખર્ચે ટી.પી. સ્ક્રીમ નં.72, ફાયનલ પ્લોટ નં.123 પર બાંધવામાં આવનારા ઇડબલ્યુએસ-2ના 1120 આવાસોના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મણિપુર- ગોધાવી ખાતે ટી.પી. સ્ક્રીમ નં. 429, ફાયનલ પ્લોટ નંબર 286માં બાંધવામાં આવનારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ રૂપિયા 8.61 કરોડના કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સત્તામંડળ દ્વારા બોપલ ખાતે ટી.પી. સ્ક્રીમ ન. 3, ફાયનલ પ્લોટ નં. 266માં બનાવવામાં આવેલા ગાર્ડનનું 90.13 લાખના કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમ જ મુખ્યમંત્રી દ્વારા આડા વિસ્તારના 118 કરોડના વિકાસના કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું. આમ મુખ્યમંત્રી દ્વારા આજે ત્રણ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો બે કામોના લોકાપર્ણ કર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ફ્રેબુઆરીમાં યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. તેની તારીખો ગમે તે ઘડીએ જાહેરાત થવાની વકી છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં ઘણાં વિકાસના કામો કર્યા છે. તેમાંય ખાસ કરીને કોરોનાના સમયગાળામાં વિકાસના કાર્યો કર્યા છે. બીજી તરફ રાજયમાં ઠેર ઠેર નવા કામો માટેના ખાતમુહૂર્ત તથા લોકાપર્ણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

આડાના કુલ 12 પ્રોજેક્ટ છે. તેમાંથી 41.7 ટકા કામ પૂરું થયું છે. મતલબ કે પાંચ પ્રોજેક્ટ પુરા થઇ ગયા છે. જયારે સાત પ્રોજેક્ટ એટલે કે 58.3 ટકાનું કામકાજ હજુ ચાલુ હોવાનું આડા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે

(12:38 am IST)