ગુજરાત
News of Monday, 20th January 2020

બોરસદ તાલુકાના બોચાસણ નજીક લગ્નના આંઠ મહિનાની અંદર પરિણીતાએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

બોરસદ:તાલુકાના બોચાસણ ગામે રહેતી એક પરિણીતાએ લગ્નના આઠ મહિનાની અંદર પતિ તેમજ સાસરી પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અંગે બોરસદ રૂરલ પોલીસે પતિ, સાસુ-સસરા, નણંદ તેમજ દિયર વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બોચાસણ ગામે રહેતી ભારતીબેનના લગ્ન આસોદર ખાતે રહેતા મયુરકુમાર કાંતિભાઈ મકવાણા સાથે થયા હતા. લગ્નના ત્રણ માસ બાદથી પતિ દ્વારા તુ મને ગમતી નથી તેમ જણાવીને ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો. જેમાં સાસુ સવિતાબેન, સસરા કાંતિલાલ, નણંદ અનિતાબેન તેમજ દિયર હર્ષદભાઈ દ્વારા ચઢમણી કરતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો. જેથી ભારતીબેન રીસાઈને પોતાના પીયર જતી રહી હતી. દરમ્યાન પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેણીને સમાધાન કરીને તેડી જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પતિ દ્વારા તારે જીવવુ હોય તો, જીવ નહીં તો મરી જા, તને તેડવાની નથી તેમ કહેતા તેણીને લાગી આવ્યું હતુ અને ગઈકાલે બપોરના સુમારે ઘરે કોઈ હાજર ના હોય તેણીએ પંખાના હુક સાથે ઓઢણી ભરાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

(5:41 pm IST)