ગુજરાત
News of Tuesday, 19th November 2019

સરકાર વીમા કંપનીઓ સામે પગલાં ન લેતાં ચોટીલા પંથકના 400 ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ચોટીલાના 400 ખેડૂતોના પાક નિષ્ફળ: હાઈકોર્ટે સરકાર અને વીમા કંપનીને નોટીસ ફટકારી

અમદાવાદ : વર્ષ 2017માં વધુ વરસાદનાં કારણે રાજકોટનાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. વીમા કંપનીએ વળતર ન આપતાં 400 ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં જે બાદ હાઈકોર્ટે વીમા કંપની અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.

ધનજી ધોધરેજીયા અને દસ બીજા ખેડૂતોએ વકીલ દીક્ષા પંડ્યા મારફતે અરજી દાખલ કરી હતી. આ લોકોએ કોર્ટ સમક્ષ કહ્યું કે તેમણે 2017 પહેલાં ઇન્શ્યોરન્સ કરવાયું હતું અને પ્રીમિયમ પણ સમયસર ભર્યો છે. તે વર્ષે વધારે વરસાદ પડતા પાકમાં ભારે નુકસાન થયું હતું.અત્યારે આ મામલો વધારે ગંભીર છે કારણ કે આ વર્ષે પણ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયા છે જેની સામે સરકારે પેકેજની જાહેરાત સાથે વળતર આપવાની ખાતરી કરી છે

જયારે આ ખેડૂતોએ વીમા કંપની સમક્ષ ક્લેમ કર્યો ત્યારે તેમની માંગ ફગાવી દેવામાં આવી અને જેમની માંગ સ્વીકારી તેમને નુકસાન કરતા ઓછું વળતર આપવામાં આવ્યું.રાજકોટના ચોટીલા તાલુકાના 400 ખેડૂતો વધુ વરસાદના કારણે પ્રભાવિત થયા હતા જે બાદ તેમની માંગ વીમા કંપની દ્વારા અસ્વીકાર કરતાં ખેડૂતોએ હાઇકોર્ટ સમક્ષ વિવિધ અરજીઓ કરી હતી જેમાંથી એકમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વીમા કંપનીઓને નોટિસ આપી છે.

(6:43 pm IST)