રાધનપુર:બે કેનાલમાં ગાબડાં પડ્યા: હજારો લીટર પાણીનો બગાડ
રાધનપુર:રાધનપુરઅને સાંતલપુરમાં બનાવવામાં નર્મદા કેનાલોના કામોમાં ગુણવત્તા જાળવવામાં ના આવતા બંને તાલુકામાં કેનાલો તુટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાધનપુર અને સુઈગામ હાઈવે પર આવેલી ભીલોટ ગામ નજીકથી પસાર થતી માનપુરા ડીસ્ટ્રી કેનાલમાં પાણી છોડવામાં આવતા ગત મોડી રાત્રે મોટુ ગાબડુ પડયુ હતુ. કેનાલમાં ગાબડુ પડતા કેનાલ નજીક આવેલ ખેતરો અને માર્ગ પર પાણી વહેતા પાણીનો બગાડ થયો હતો.
આ કેનાલ તુટયાના સમાચાર નર્મદાના અધિકારીઓને મળે તે પહેલા વહેલી સવારે જાવંત્રી ચલવાડા મુખ્ય માર્ગ નજીકથી પસાર થતી સાંથલી ડીસ્ટ્રી કેનાલમાં જાવંત્રીથી મહેમદાવાદ તરફ મોટુ ગાબડુ પડયુ હતુ. કેનાલમાં ગાબડુ પડતાં કેનાલનુ પાણી બાજુની પડતર જગ્યામાં વહી જતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ.
માત્ર ગણત્રીના કલાકોમાં એક જ વિસ્તારમાં બે કેનાલો તુટતા ખેડુતોને સીચાઈ માટે આપવામાં આવેલ પાણી વેડફાતા સ્થાનિક લોકોમાં નર્મદા વિભાગ સામે રોષ વ્યાપ્યો હતો.