ગાંધીનગર નજીક ડિમેટ એકાઉન્ટના બહાને વૃદ્ધ સાથે છેતરપિંડી: 16 લાખની મતાની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ
ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગઠીયા ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે નિવૃત વૃધ્ધ અને તેમના પરિવારનું શેર બજારમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાના બહાને સે-રરમાં જ રહેતાં શખ્સ દ્વારા ૧૬ લાખ રૂપિયા જેટલી માતબર રકમની છેતરપીંડી આચરવામાં આવતાં ચકચાર મચી છે આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં ઠેકઠેકાણે ગઠીયા ટોળકીનો ત્રાસ વધી રહયો છે. કોઈને કોઈ બહાને લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે નવા નવા નુસખા અપનાવાઈ રહયા છે ત્યારે અમદાવાદના ગોતા ખાતે આવેલી આર્યન સીટીમાં રહેતાં અને નિવૃત જીવન ગુજારતાં સ્વામીનાથ મહારાજદીન યાદવે ઈન્ફોસીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ ર૦૧૬માં તેમના પુત્ર જતીન યાદવની મુલાકાત સે-રર પ્લોટ નં.૩૭૦/ર ખાતે રહેતાં ગીરીરાજસિંહ નટવરસિંહ વાઘેલા સાથે થઈ હતી. આ મુલાકાત બાદ ગીરીરાજસિંહે જતીન યાદવને શેરબજારમાં રોકાણ કરવાથી મહિને વીસ હજારનું વળતર મળશે તેવી લાલચ આપી તેનું ડીમેટ એકાઉન્ટ ખોલી આપ્યું હતું.