સુરતમાં કરોડોના ટર્ન ઓવર કરતી મોટી પેઢીઓએ માર્કેટિંગની નવી સ્કીમ શરૂ કરતા નાના વેપારીઓમાં ચિંતા
સુરત: દિવાળીની મુખ્ય સિઝન અને ત્યારબાદ લગ્નસરાની સિઝનની ખરીદી હાલમાં ચાલુ છે. ત્યારે કરોડોનું ટર્નઓવર કરતી મોટી પેઢીઓએ માર્કેટિંગની નવી સ્કીમ બહારગામના વેપારીઓને લલચાવવા માટે શરૃ કરતાં હોલસેલના નાનાં વેપારીઓને ચિંતા વધી છે. 14થી લઈને 300 પાર્સલો ખરીદનાર વેપારીને ખૂબ જ ઊંચાં વળતરની લાલચ આપવામાં આવી રહી છે.
સાડી અને ડ્રેસ મટીરીયલમાં 4-5 ટકાથી વધુ નફો નથી ત્યારે સ્થાનિક જથ્થાબંધ મોટા વેપારીઓ બહારગામના વેપારીઓને 16 ટકા વળતરની લાલચ આપી રહ્યાં હોવાથી, ખરીદી હવે એક જગ્યાએથી થવાનો ડર વેપારીઓને છે. બહારગામનો છુટક વેપારી જુદા-જુદા વેપારીઓ પાસેથી ખરીદી કરતો હોય છે. પરંતુ હવે લાલચને કારણે બીજા વેપારીઓ પાસેથી ખરીદી કરવાનું બંધ કરી દેશે, એમ મિલેનિયમ માર્કેટના એક વેપારીએ વાતચીતમાં જણાવ્યું હતું. મોટા જથ્થાબંધ વેપારીઓની માર્કેટિંગની આ નવી સ્કીમ કાપડ બજારના વેપારને સીધી અસર કરશે. વર્ષે દિવસે રુ. 100 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બે-ત્રણ મોટી પેઢીઓએ આ નવી સ્કીમ અમલમાં મૂકી છે. અત્યારે દિવાળીના સીઝન પહેલાં જે રીતે સ્કીમો મૂકવામાં આવી છે, તે જોતાં ઘણાં વખત પહેલાંથી મોટી પેઢીઓએ સ્ટોક કરી રાખ્યો હોવાની આશંકા પણ છે.