વડોદરા:જરોદ નજીક શંકરપુરાની સીમમાં વીજ ચોરી કરી ખેતરમાં ઉતરેલ શખ્સનું કરંટ લાગવાથી મૃત્યુ
વડોદરા: શહેરના જરોદ નજીક શંકરપુરા ગામની સીમમાં ખેતરની ફરતે બનાવેલી વાડમાં વીજ ચોરી કરીને ઉતારેલો ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે જરોદ પાસે આવેલા શંકરપુરા ખાતે રહેતો ૨૭ વર્ષનો અલ્પેશ કુદરતી હાજતે ગામની સીમમાં ગયો હતો ત્યારે મગફળીના વાવેતરવાળા ખેતરની ફરતે ઇલેક્ટ્રિક કરંટવાળી તાર સાથે અડી જતા અલ્પેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ વાતની જાણ થતા સવારે ગ્રામજનો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.
પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે ખેતરના માલિક ગોવિંદ શનાભાઇ પરમાર અને ભાવેશ અરવિંદભાઇ પટેલ (રહે.કરચિયા)એ ખેતર પરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇન ઉપર ગેરકાયદે લંગર નાંખી વીજ ચોરી કરીને તારની વાડમાં કરંટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે આખરે મૃતક અલ્પેશના કાકા ઉદેસિંહ પરમારે ભાવેશ પટેલ અને ગોવિંદ પરમાર સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.