ગુજરાત
News of Friday, 19th October 2018

ભાજપને પછાડવા માટે 'બાપુ'નો વન-પોઇન્ટ પ્રોગ્રામ!

લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી મતોનું વિભાજન ન થાય તે માટે શંકરસિંહજી વાઘેલા રહેશે સક્રિયઃ ત્રીજો મોરચો નહી ભાજપ સામે એકજ ઉમેદવારના પ્રયાસો : કોંગ્રેસને સાથે કે સંકલનમાં રાખી દેશભરમાં ત્રીપાંખીયો જંગ ન થાય તે માટે તમામ મુખ્ય પક્ષોના આગેવાનો સાથે બેઠક કરતા વાઘેલા : વિધાનસભા ચૂંટણીમાં બાપુની ઇમેજ બગાડવામાં સફળ રહેલ ખટપટીયાઓને ફરીને તક ન મળે તે માટે મહેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું છે રાજીનામું : NCP માં નહી જોડાય

રાજકોટ તા. ૧૯ :.. મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામુ આપતા જ પિતા-પુત્ર  એન. સી. પી. માં જોડાશે, લોકસભા લડશે, ત્રીજા મોરચા માટે કાર્યરત રહેશે તેવી વાતો એ જોર પકડયું છે પરંતુ બાપુના નિકટતમ વર્તુળોએ અકિલાને સ્પષ્ટ જણાવ્યું છે કે બાપુ કોઇ પક્ષમાં જોડાશે નહી પરંતુ પીઢ, સીનીયર નેતા હોવાના કારણે દેશભરના તમામ મુખ્ય પક્ષો સાથેના સબંધોનો ઉપયોગ કરી દેશભરમાં કયાંય ત્રીજો મોરચો કાર્યરત ન થાય અને કોંગ્રેસ, મમતા, બસપા, સપા સહિતના પક્ષો સંકલન કરી ભાજપને પછડાટ આપે તે માટેના વન-પોઇન્ટ પ્રોગ્રામ માટે કાર્યરત રહેશે.

શંકરસિંહજી વાઘેલા વિધાનસભા ચૂંટણીમાં પણ રાજયમાં ત્રીજુ પરિબળ બની કોંગ્રેસના પણ મતો ન તુટે તેવી રીતે કાર્યરત થવા મક્કમ હતા પરંતુ અમુક વિપક્ષો ત્થા રાજયના ખટપટીયા પરીબળોએ બાપુ ભાજપને મદદ કરી રહ્યાની ખોટી હવા પેદા કરીને બાપુની ઇમેજ બગાડવામાં સફળ રહ્યા હતા  આ વખતે પણ આવા તત્વો પોતાના મલીન ઇરાદાઓમાં સફળ ન થાય અને ખોટી વાતો કે અફવા ન ફેલાય તે માટે બાપુ એ જ મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાંથી નિકળી  જઇ ને પોતાના 'વન પોઇન્ટ પ્રોગ્રામ' માં  સહયોગ બનાવી ભાજપને પછાડવા માટે કામે લગાડવા રાજીનામુ અપાવ્યાનું કહેવાય છે.

ભાજપ સાથે છેડો ફાડતા પહેલા મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને મળ્યા હતા અને પોતાની બાજુ સ્પષ્ટ કરી હતી એમ કહેવાય છે.

શંકરસિંહજી વાઘેલા આગામી લોકસભા ચૂંટણીમાં કોઇ ગેરસમજ ન ફેલાય ત્થા ભાજપ વિરોધી મતોનું વિભાજન ન થાય તે માટે છેલ્લા એક માસથી દેશભરમાં ધુમી રહ્યા છે. વિવિધ પક્ષનાં વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. અને દેશભરમાં કયાંય ત્રીજો મોરચો કાર્યરત ન થાય અને કોંગ્રેસને પણ સાથે રાખીને ભાજપના ઉમેદવારો સામે વિપક્ષોને સર્વસંમત ઉમેદવાર ચૂંટણી લડે અને ધાર્યા પરિણામ આવે તે માટે જ કાર્યરત રહેશે.

બાપુ તાજેતરમાં હરીયાણા ગયા હતાં. આ ઉપરાંત મામતા બેનરજી સહિતના મજબુત વિપક્ષી નેતાઓને પણ મળ્યા હતા બંગાળ, ઉત્તર પ્રદેશ, હરીયાણા, પંજાબ, દિલ્હી કે દક્ષિણના રાજયોમાં મતોના વિભાજનના કારણે ભાજપ ને ફાયદો ન થાય તે માટે ભાજપ સામે એક જ મોરચો રહે તે માટેના પ્રયાસો કર્યા હતાં.

રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાના અંગત વર્તુળો સ્પષ્ટ જણાવે છે કે, બાપુ કે મહેન્દ્રસિંહ વાઘેલા એન. સી. પી. માં નહી જ જોડાય, દશેરાના દિવસે જ મોંઘવારી રૂપી રાવણ દહન માટે રાજીનામુ આપ્યુ છે. દેશભરમાં કયાંય ત્રીજો મોરચો કે અલગ ગઠબંધન ન થાય તે માટે જ બાપુ કાર્યરત થયા છે.

બાપુ લોકસભા ચૂંટણી પણ નહી લડે અને ભાજપને પછાડવાના એક માત્ર લક્ષ્યમાં પુત્ર પણ પિતાને રાજકીય સહયોગ આપશે.

 

(3:48 pm IST)