મંદી મુદ્દે રાજકીય ગરમાવો : કોંગ્રેસે કહ્યું મુખ્યમંત્રી થોડાક ઉદ્યોગપતિને મળે છે એટલે તેજી દેખાઈ છે
અમિત ચાવડાએ કહ્યું તેમણે નાના વેપારીઓ અને કર્મચારીઓની હાલત જોવી જોઈએ
સીએમ રૂપાણીના મંદી અંગેના નિવેદનને લઈ વિપક્ષે નિશાન સાધ્યુ હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે મુખ્યપ્રધાન થોડા ઉદ્યોગપતિને મળે એટલે તેમને તેજી દેખાય છે. તેમણે નાના વેપારીઓ અને કર્મચારીઓની હાલત જોવી જોઈએ. સાત બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે.
મંદી મુદ્દે ગુજરાતમાં હવે રાજકારણ ગરમાયું છે. ભાજપે મંદી હોવાની અફવા અને કોંગ્રેસે મંદીના માહોલને મુદ્દો બનાવીને મતદારોને આકર્ષવા પ્રયાસો કરી દીધા છે. રાજ્યમાં સાત વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ છે. તેવામાં મંદી મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ શરૂ થયું છે.
સીએમ રૂપાણીએ રાજ્યમાં મંદી હોવાની વાતને અફવા ગણાવી છે, તો કોંગ્રેસે પલટવાર કરીને સીધો પ્રહાર કર્યો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગ ધંધા નરમ પડ્યા છે. ઉદ્યોગકારો તેને વૈશ્વિક મંદીની અસર ગણાવે છે. પંરતુ ભાજપને કે રાજ્ય સરકારને રાજ્યમાં મંદીનો માહોલ દેખાતો નથી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મંદી એ હવા જ છે. તેના કોઈ આંકડા ન હોઈ શકે. કોઈ એમએસએમઈ બંધ થયાના કોઈ અહેવાલ મળ્યા નથી.