ગુજરાત
News of Wednesday, 19th September 2018

ધર્મજ-તારાપુર હાઇવે નજીક પુરપાટ ઝડપે જતી બસ કાર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત બેને ઇજા

ધર્મજ:ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલા નાર પાસેની એક હોટલ નજીક ગઈકો મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે આવી ચઢેલી લક્ઝરી બસ સ્વીફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે નારાયણ ચરણદાસ સ્વામી સહિત બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને લક્ઝરી બસ મુકીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર બુધેજ ગામે રહેતા રાજેન્દ્રસિંહ રામસિંહ રાઠોડ, નારાયણ ચરણદાસ સ્વામી તથા રણજીતસિંહ ચંદુભાઈ રાઠોડ સ્વીફ્ટ કાર નંબર જીજે-૨૩, બીએલ-૪૬૯૬ લઈને ગત ૧૬મી તારીખના રોજ સુરત ગયા હતા. ત્યાંથી ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે બુધેજ આવવા માટે નીકળ્યા હતા. રાત્રીના પોણા બે વાગ્યાના સુમારે ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલા નાર ગામની શબરી હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે તારાપુર તરફથી એક લક્ઝરી બસ નંબર જીજે-૧૪, ડબલ્યુ-૦૩૭૦ની આવી ચઢી હતી અને કાર સાથે ભટકાતા કારની આગળની સાઈડનો લોચો વળી જવા પામ્યો હતો. જેમાં રણજીતસિંહને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. 

(4:52 pm IST)