વિધાનસભા ઘેરાવ વેળાએ કોંગી નેતાઓ અટકાયત વહોરતા રાજીવ સાતવ અકળાયા : દિલ્હીમાં પડઘા પડે તેવી શકયતા
કોંગ્રેસના નેતાઅોમાં ખેડૂતો પરની પક્કડ ન હોવાને પગલે સાતવે નારાજગી દર્શાવ્યાની ચર્ચા
ગુજરાત કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની નિષ્ફળતાથી પ્રભારી રાજીવ સાતવ નારાજ થયાની ચર્ચા જાગી છે ચર્ચા મુજબ સિનિયર નેતાઓએ સામે ચાલીને અટકાયત વ્હોરતા રાજીવ સાતવ અકળાયા છે. ગુજરાતના નેતાઓએ લાકડીઓ ખાવાની જરૂર હતી તેવું સાતવનું માનવું હતું. પરંતુ તેની સામે ગુજરાતના નેતાઓ નબળા પડતા પ્રભારી અકળાયા છે અને આ અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે.
કોંગ્રેસના પ્રભારી રાહોવ સાતવની હાજરીમાં જ કોંગ્રેસના નેતાઅો પાણીમાં બેસી જતાં અા અંગેનો પડધો દિલ્હીમાં પડે તેવી સંભાવના છે. કોંગ્રેસે 100 કિલોમીટરના દાયરામાંથી મોટાપાયે ખેડૂતો અાવે તે માટે માસ્ટરપ્લાન ઘડ્યો હતો. કાગળ પર થયેલાં અાયોજનો પ્રમાણે કોંગ્રેસ કઈંક કરી બતાવશે તેવી ચર્ચા વચ્ચે 9 વાગ્યા સુધી ખુરશીઅો ખાલી રહેતાં કાર્યક્રમ મોડે 10 વાગે શરૂ થયો હતો.
ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસનો ખેડૂત અાક્રોશ રેલીનો ફિયાસ્કો જોઈને રાજીવ સાતવ અકળાઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અે ખેડૂતો મામલે અાગળ વધવા માગે છે. અા દરમિયાન સ્થાનિક નેતાઅોમાં ખેડૂતો પરની પક્કડ ન હોવાને પગલે સાતવે નારાજગી દર્શાવી હતી. અધૂરામાં પુરું કોંગ્રેસના ધારાસભ્યોઅે વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમમાં વિરોધ તો બાજુમાં રહ્યો સામે ચાલીને ધરપકડો વ્હોરી લેતાં સાતવ વધુ અકળાઈ ગયા હતા.