અરવલ્લીના માલપુરના અણીયોર ગામમાં મકાનની દીવાલ ધરાશાયી :વૃધ્ધા અનેર બાળકી દટાયા
સ્થાનિક લોકોએ બંનેને બહાર કાઢયા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
અરવલ્લી જિલ્લામાં સતત ૫ દિવસથી મેઘમહેર યથાવત રહેતા કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. માલપુર તાલુકાના અણીયોર ગામમાં ચમાર ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા અને બાળકી કાટમાળમાં દબાતા ભારે અફડાતફડી મચી હતી.
આ અંગે મળતી વિગત મુજબ ગામના ચમાર જયંતિભાઇના મકાનની કાચી દિવાલ ધરાશાયી થતાં નજીક ઉપસ્થિત આઠ વર્ષની મેઘા અને વૃધ્ધ રમીલાબેન જયંતિભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢયાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે વાત્રક રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે દિવાલ નજીક ઉપસ્થિત અન્ય એકનો આબાદ બચાવ થયો છે. માલપુર તાલુકા મામલતદાર કચેરી દ્વારા તલાટી મારફત રીપોર્ટ મંગાવી જોગવાઇ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.