ગુજરાત
News of Monday, 19th August 2019

સ્વામિનારાયણ જીવનચરિત્રના ટાઇટેનિયમ ગ્રંથને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન

સર્વત્ર ભગવાન દેખાય ત્યારે લગની લાગી કહેવાયઃ જ્ઞાનજીવનદાસજી સ્વામી

વડોદરામાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની હાજરીમાં સત્સંગ સમારોહ યોજાયેલ તેમજ શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીએ ટાઇટેનિયમ ગ્રંથ અંગેનું પ્રમાણપત્ર અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર (

રાજકોટ તા. ૧૯ : સુપ્રસિદ્ધ શ્રીસ્વામીનારાયણ મંદિર વડતાલધામ ખાતે આગામી તા. ૬ થી ૧ર નવેમ્બર-ર૦૧૯ દરમ્યાન યોજનારા ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરાના શ્રીસ્વામીનારાયણ મંદિર કારેલીબાગ ખાતે વડતાલ મંદિરના આયોજન તળે વિરાટ સત્સંગ મહાસંમેલન ગયા રવિવારના યોજાયું હતું. સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભકતોને પ્રારંભમાં જેતપુર ગાદીસ્થાનના મંહત પૂ.શ્રીનીલકંઠચરણદાજી સ્વામીએ સત્સંગલાભ આપતા જણાવ્યું કે વચનામૃત ગ્રંથએ સમજણ દૃઢ કરવા માટેનો અજોડ ગ્રંથ છ.ે વચનામૃત ગ્રંથથી ભગવાનની  આજ્ઞા-ઉપાસના નિશ્વય, નિષ્ઠા મહિમાની દૃઢતા થાય છે.

પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું. કે, જયાં જયાં નજર પડે ત્યાં સર્વત્ર ભગવાન દેખાય ત્યારે ભગવાનની લગની લાગી કહેવાય, સર્વત્ર પરમેશ્વરનો સ્વીકાર થાય તેને સાચું આસ્તિકપણું કહેવાય વગેરે વાતો દ્વારા ભકતોને આધ્યાત્મિકતાના પિયુષ પાયા હતા.

આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ભકતોને આશીર્વાદ પાઠવ્યા હતા. તથા વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજીમહારાજે વિડીયોના માધ્યમે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડોદરાના પોલીસ કમીશનર અનુપમસિંહ ગેહલોત તથા આર.ટી.પંચાલ એડીશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલધામમાં ઉજવાનાર આ મહોત્સવ પૂર્વે દર રવિવારે વિવિધ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં ભવ્ય સત્સંગ સંમેલનનું આયોજન વડતાલ મંદિર દ્વારા કરવામાં આવે છે તેના ભાગરૂપે હવે પછીના રવિવારે તા.રપ/૮ ના રોજ ભાવનગર ખાતે સંમેલન યોજાશે. જેમાં મ્યુઝીકલ આમંત્રણ નં.-૭નું વિમોચન ભવ્યતાથી કરવામાં આવશે.

પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા દ્વારા શ્રી હરિચરિત્રામૃતગંથને ટાઇટેનિયમ ધાતુમાં કોતરાવીને વડતાલ મંદિરનેગત કાર્તિકી સમૈયામાં અર્પણ કરાયો હતો તેને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા હિન્દી ભાષામાં ભગવાન શ્રીસ્વામિનારાયણના જીવન ચરિત્રો ધરાવતાં સૌથી મોટા ટાઇટેનિયમ ગ્રંથ તરીકે એવોર્ડ મળેલ છે જે ગ્રંથ ૧,ર૦,પ૬૪ દોહા, ચોપાઇ અને સોરઠાઓથી સભર છે. અને જેને ૧ર,૪૦૪ ટાઇટેનિયમ ધાતુના પતરાઓના પેજ પર લેસરમશીનથી કોતરવામાં આવેલ છે. આ ગ્રંથનું વજન ૧૦૪૭ કિલો છે. આવું અજોડ કાર્ય શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ, વડોદરા ગુજરાતનાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ છે આ પુસ્તકની રચના લેસરમશીન દ્વારા તારીખ ર૪ મે ર૦૧પ થી ૭ જુલાઇ ર૦૧૮ દરમ્યાન કરવામાં આવી હતી અને ૯ જુલાઇ ર૦૧૯ ના રોજ આ કાર્યને એશિયાઇ રેકોર્ડ તરીકે સ્થાપિત કરવામાં આવેલ છે જેનાં શીલ્ડ તથા સર્ટીફીકેટ જ્ઞાનજીવનદાસજી સ્વામીને નીલકંઠચરણદાસજી સ્વામી દ્વારા અર્પણ કરાયા હતા તેમજ આ ગ્રંથને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ ટાઇટેનિયમ ધાતુની પ્લેટ પર કોતરાયેલ હિન્દી ભાષામાં સૌથી મોટા ગ્રંથ તરીકે રેકોર્ડ સ્થાપિત કરાયેલ છે જેના શીલ્ડ તેમજ સર્ટીફીકેટ ખંભાત મુકામેસત્સંગ મહાસંમેલન પ્રસંગે શ્રીજ્ઞાનજીવનદાસજી કુંડળધામને અર્પણ કરાયા હતા. તેમ સાધુ અલૌકિકદાસજી જણાવે છે.

(3:56 pm IST)