બનાસકાંઠામાં કોરોનાનો રાફડો ફાટયોઃ બીએસએફના ૨૦ જવાનો સંક્રમીત
નાગાલેન્ડથી આવેલા ૧ હજાર જવાનોનું ટેસ્ટીંગઃ સંપર્કમાં આવેલાને આઇસોલેટ કરાયા
અમદાવાદઃ હાલ રાજ્યમા કોરોનાની ગતિ ઘટી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આજે બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા છે. એક સાથે ૨૦ જવાનો કોરોના સંક્રમિત થતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તમામ કોરોના સંક્રમિત જવાનોને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા અન્ય જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.
નાગાલેન્ડથી ૧૦૦૦ જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને બી.એસ.એફના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી ૨૦ જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. અસરગ્રસ્ત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.