ગુજરાત
News of Thursday, 19th July 2018

રાજ્યના ૧૯ જળાશયો હવે હાઈએલર્ટ ઉપર મુકી દેવાયા

પાંચ ડેમ માટે એલર્ટની જાહેરાત કરવામાં આવી : જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૧૧.૨૩ મીટર : ડેમ ૩૯.૭૮ ટકા ભરાઈ ચુક્યો છે

અમદાવાદ, તા.૧૯ : રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૯-૭-૨૦૧૮ના રોજ સવારે આઠ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઈએલર્ટ, પાંચ જળાશયો એલર્ટ તેમજ ૧૩ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે નર્મદા ડેમ ૩૯.૭૮ ટકા ભરાયો છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને કુલઝર-૧, ભાવગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-૨, તેમજ ગિર-સોમનાથનું હિરણ-૨ જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-૨ અને ફોફલ-૨, અમરેલીનું સંક્રોલી મળી કુલ૦૫ જળાશયો હાઈ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેવતણી આપવામાં આવી છે.

(8:37 pm IST)