ડ્રેનેજના સામાન્ય રિપેરિંગમાં કુલ ૩૦ લાખનું આંધણ કરાયું
કોર્પોરેશનના વધુ એક નિર્ણયને લઇ વિવાદ થયો : સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટીંગના લાખો રૂપિયાના નવા કામોને મૂકાયા : આગામી દિવસોમાં અમલવારી કરાશે
અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી-ડ્રેનેજના કામો માટે વર્ષે દહાડે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરતાં હોય છે પરંતુ ઘણીવાર યોગ્ય આયોજનના અભાવે અથવા તો, સંકલનના અભાવે સામાન્ય કામમાં પણ લાખો રૂપિયાનું આંધણ થઇ જતુ હોય છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના સામાન્ય બ્રેકડાઉનના રિપેરીંગ પાછળ પણ આ જ પ્રકારે અમ્યુકો સત્તાધીશોએ રૂ.૩૦ લાખનું આંધણ કરતાં ભારે વિવાદ ઉઠવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મધ્ય ઝોનના દૂધેશ્વર વોટર વર્ક્સના પ્લોટમાં નવી ૪૫ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવા પાછળ તંત્ર દ્વારા રૂ.૪.૬૨ કરોડ ખર્ચાનાર છે. આવતીકાલે મળનારી વોટર સપ્લાય કમિટીમાં મ્યુનિસિપલ વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ અંગેના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે. આ ઉપરાંત વટવા વોર્ડમાં વટવા નિગમ ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ખાતે નવી ૨૫ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ ટાંકીના નિર્માણના સિવિલ કામ માટે રૂ.૩.૩૭ કરોડના અંદાજને લગતી એક અન્ય દરખાસ્ત પણ વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા મુકાઈ છે જ્યારે નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા તળાવની આસપાસના વિસ્તારની સ્ટ્રોમ વોટર લાઈનને આધુનિક પદ્ધતિથી ડિસિલ્ટિંગ કરવાના કામ માટે રૂ.૧.૦૦ કરોડનું ટેન્ડર તંત્ર દ્વારા મંજૂર કરાયું છે. આની સાથે-સાથે સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટિંગના દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વોર્ડના રામરાજ્યનગરથી સુરેલિયા સર્કલ થઈ શકરીબા ગાર્ડનથી બીઆરટીએસ રોડ સુધી ૪૫૦ એમએમ વ્યાસની ડ્રેનેજ લાઈનને સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટિંગ કરવા માટે રૂ.૭૬.૯૭ લાખનો અંદાજ તૈયાર કરાયો છે. વેજલપુર વોર્ડમાં શ્રેયસ કોમ્પ્લેક્સથી મકરબા પોલીસ હેડ ક્વાર્ટર્સ રોડ પરની ડ્રેનેજ લાઈનને પણ સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટિંગ કરવાના કામ માટે રૂ. ૪૭.૭૯ લાખનું ટેન્ડર મંજૂર કરાયું છે, જોકે આ કામના કોન્ટ્રાક્ટર સામે અગાઉ ઉત્તર ઝોનમાં સીસીટીવી કેમેરા વગર ડિસિલ્ટિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનો વિવાદ ઊઠ્યો હતો, જેમાં રાબેતા મુજબ ભીનું સંકેલાઈ ગયું હતું. પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં મેટ્રો રેલના પિલરના કામકાજથી ક્ષતિગ્રસ્ત થયેલી જનતાનગરથી સુભાષ માર્કેટ સુધીની ડ્રેનેજ લાઈનને પણ રૂ. ૧૪.૬૯ લાખના ખર્ચે સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટિંગ કરાશે. જ્યારે ગોમતીપુરમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ પર નાગરવેલ હનુમાનથી અજિત મિલ ચાર રસ્તા જતા મુખ્ય રોડ પર આવેલા વોટર ડિસ્ટ્રિબ્યૂશનના ગેટ પાસેની ૧૮૦૦ એમએમ વ્યાસની ડ્રેનેજલાઈન અને ૪૫૦ એમએમ વ્યાસની સપ્લાય લાઈન પરના બ્રેકડાઉન રિપેરિંગ માટે માત્ર ક્વોટેશન મંગાવીને રૂ.૨૯.૫૬ લાખ ખર્ચાતાં ભારે વિવાદ ઊઠ્યો છે. સ્ટેડિયમ વોર્ડમાં પણ ગાંધીઆશ્રમથી સુભાષ સર્કલ તરફ જતી ડ્રેનેજ લાઈનના રિપેરિંગ પાછળ રૂ. ૬.૯૬ લાખ ખર્ચાયા છે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા શહેરના પ્રજાલક્ષી કાર્યોમાં ઘણીવાર થતાં બિનજરૂરી આંધણને લઇ ટીકા કરી વિરોધ ઉઠાવ્યો છે.