બેંક લોન ફ્રોડ કેસ
સુરતની કંપનીના રૂ.૧૬૧૦ કરોડના કુલ ૬૦૦૦ વાહનો જપ્ત કરતું ઇડી
નવી દિલ્હી, તા.૧૯: સુરતની કંપની સામે નોંધાયેલા બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ૧,૬૧૦ કરોડની કિંમતના કુલ ૬ હજાર વાહનો જપ્ત કર્યા છે.
એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (PMLA) હેઠળ સિદ્ઘિ વિનાયક લોજિસ્ટિકસ લિ. (SVLL)અને તેના ડાયરેકટર રુપચંદ બૈદની સંપત્ત્િ।ને ટાંચમાં લેવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કર્યો હતો. આ પહેલા રુપચંદ બૈદની બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે ૮૩૬.૨૯ કરોડના લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
અત્યારસુધીમાં કુલ ૧૬૦૯.૭૮ કરોડના ૬,૧૭૦ વાહનો ટાંચમાં લીધા છે તેમ ઈડીએ જણાવ્યું. જૂન, ૨૦૧૭માં પણ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કંપનીની ૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
ઈડીએ જણાવ્યું કે CBI FIR ના આધારે કંપની અને તેના ડાયરેકટર સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો છે. 'અત્યારસુધીમાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ખોટા દસ્તાવેજો ઉપર તેમજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ડ્રાઇવરોને અંધારામાં રાખીને તેમના નામ પર લોન લેવામાં આવી હતી', તેમ ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું.
ઈડીએ જણાવ્યું કે રુપચંદે બેન્કોમાંથી વિવિધ યોજનાઓ હેઠળ લોન મેળવી હતી જેમાં 'ચાલક સે માલક'નો સમાવેશ થાય છે, જે અંતર્ગત તેણે નવા અને જૂના વાહનોની ખરીદી માટે કર્મચારીઓ તેમજ ડ્રાઈવરોના નામ પર લોન લીધી હતી. ઈડીએ આ ઉપરાંત જણાવ્યું કે જો કામ માટે લોન લેવામાં આવી હતી તે કામ માટે પૈસાનો ઉપયોગ થયો જ નથી.
લોનના પૈસાને સિદ્ઘિવિનાયક કંપની અને તે સંબંધિત સંસ્થાઓના અકાઉન્ટની મદદથી ફેરવવામાં આવ્યા હતા અને છેલ્લે તેનો ઉપયોગ વ્યકિતગત લાભ, કંપનીના ખર્ચા અને જૂની પેન્ડિંગ લોનને ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યો. તપાસ એજન્સીએ બેંક ફ્રોડ કેસમાં ડાયરેકટર રૂપચંદ બૈદે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું.
ઈડીએ તેમ પણ કહ્યું કે પહેલા કરાયેલી તપાસમાં ખુલાસો થયો હતો કે ૮૩૬.૨૯ કરોડની લોનની રકમ કંપનીના ડાયરેકટર રુપચંદના કહેવા મુજબ બેન્કે યોજના પ્રમાણે કંપનીઓની વિવિધ સંસ્થાઓની ખરીદી માટે આપ્યા હતા.