છોટાઉદેપુરમાં કપડા સુકવવા જતા વીજ કરંટથી સગીરાનું કરૂણમોત : પરિવારમાં છવાયો માતમ
ઘટના બાદ મકાનમાલિક અને તંત્ર દ્વારા એક બીજા ઉપર દોષારોપણ
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં કપડાં સુકાવવા જતા વીજ કરંટ લગતા સગીરાનું કરૂણમોત નીપજ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ છોટાઉદેપુરના કાલીકા મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા પંકજ શાહનાં પરિવારની દીકરી નીપ્રાલી ત્રીજા માળે પોતાના ઘરની ગેલેરીમાં કપડા સુકવતી હતી. ત્યારે એક કપડું ઉડીને ગેલેરીની નજીક આવેલ વીજ ડીપી ઉપર પડી જેને લેવા જતા આ માસુમને લાગ્યો 11 કિલોવોટનો વીજ કરંટ અને ગણતરીની સેકન્ડોમાં જ આ બાળકીનું મોત નિપજ્યું હતું
. પરિવારની લાડકવાયી દિકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો છવાયો છે. તો પરિવારજનો પોતાની દીકરીનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઘટના લઇ મકાનમાલિક અને તંત્ર એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.
કિશોરીના મૃત્યુ બાદ સમગ્ર છોટાઉદેપુરમાં વીજ કંપની સામે રોષ ફાટી નીકળ્યો છે.મકાન માલિક દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યાનું પણ સામે આવ્યું છે. જેને લઈ પોતાની લાડકવાયી દીકરી ગુમાવનાર પરિવારજનો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે. અને બીજા કોઈ સાથે આવી દુર્ઘટના ન સર્જાય તેના માટેતંત્ર દ્વારા પગલા લેવાની માગ કરી રહ્યા છે.
કિશોરીના મોતથી સમગ્ર છોટાઉદેપુરમાં ગમગીની ફેલાઈ છે. મકાન માલિક એવા કાળકા માતા મંદિરના પૂજારી તુષાર પંડ્યાએ અનેકવાર વીજ કંપનીને આ જોખમી ડી.પી. અને ટ્રાન્સફોર્મરને હટાવવાની માંગણી કરી છે. છતાં વીજ કંપની કોઈ પગલાં લેતીના હોવાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ ખુદ મકાનમાલિકે વીજ ટ્રાન્સફોર્મર તરફ ગેરકાયદેસર દબાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહિ વીજ કંપનીનો સ્ટ્રીટ લાઈટનો એક લોખંડનો આખો થાભલો મકાનના બાંધકામમાં અંદર સમાવી લેવાયો હોવાનું જણાઈ આવ્યું છે. તેવામાં વીજ કંપનીના અધિકારી ગેરકાયદેસર દબાણના કારણે ઘટના બની હોવાનું જણાવી રહયા છે.