પલસાણા તાલુકાના કરણ ગામની સીમ પાસે કારની હડફેટે વૃદ્ધાનું મોત
પલસાણા: તાલુકાના કરણ ગામની સીમમાં ને.હા.નં.૪૮ પર રોડ ક્રોસ કરતા ૬૨ વર્ષના વૃધ્ધને કારે ટક્કર મારતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સુરતના કતારગામ ખાતે નિભાનંદ સોસાયટીમાં રમેશભાઈ અમૃતભાઈ પ્રજાપતિ (ઉ.વ.૬૨) પત્ની જશુબેન અને પુત્ર કૃણાલ સહિત પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ રવિવારની રજામાં રમેશભાઈ પોતાની બહેન ગીતાબેન મિસ્ત્રીના ઘરે જવા નીકળ્યા હતા.કૃણાલ પોતાની બાઈક પર માતા જશુબેન સાથે કરણ પહોંચી ગયો હતો. જ્યારે રમેશભાઈ ખાનગી વાહનમાં બેસી ને.હા.નં.૪૮ પર કરણ પાટીયા ખાતે ઉતર્યા હતા. અને બહેનના ઘરે જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે સવારે સાડા અગીયાર વાગ્યે પુરઝડપે જતી કાર (નં.-જીજે-૫-સીએમ-૯૭૦૦) ના ચાલકે રમેશભાઈને ટક્કર મારતા માથા તથા શરીરે ગંભીર ઈજા થઈ હતી.રમેશભાઈને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા સાંજના સમયે મોત થતા પલસાણા પોલીસે કૃણાલની ફરિયાદ લઈ કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે