ગુજરાત
News of Tuesday, 19th June 2018

હવે રેડિયો કોલરથી કરાશે સાસણ - ગીરના સિંહોનું રક્ષણ

સિંહના રક્ષણ માટે સરકારે પ્લાન ઘડયો : બધા સિંહને અપાશે રેડિયો-કોલર : એક મહિનામાં અમલીકરણ થશેઃ ગુજરાત સરકાર ગીર ફોરેસ્ટમાં ૩૦૦ સિંહ મિત્રોની નિયુકિત કરશે

નવી દિલ્હી તા. ૧૯ : સાસણ ગીરમાં કોઈને કોઈ કારણસર સતત મૃત્યુ પામી રહેલા સિંહોની સંખ્યા મામલે રાજય સરકારે ચિંતા વ્યકત કરી છે. હવે એશિયન સિંહોને બચાવવા માટે સરકાર મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં આવેલા તમામ સિંહોના રક્ષણ માટે સરકાર તેમને રેડિયો-કોલર ફાળવશે. આ રેડિયો-કોલર એક પ્રકારનું જીપીએસ ડિવાઈસ છે જેનાથી સિંહનું લોકેશન જાણી શકાશે. ઉપરાંત સિંહના રક્ષણ માટે સિંહ મિત્રોની પણ મદદ લેવામાં આવશે.

સોમવારે સીએમ વિજય રૂપાણીની આગેવાનીમાં એક બેઠક મળી હતી જેમાં નક્કી કરાયું કે દેશમાં વાઘના વિવિધ અભ્યારણ્યો માટે જેવી રીતે રેડિયો-કોલરનો ઉપયોગ કરાયો તેવી જ રીતે સિંહો માટે પણ રેડિયો-કોલરનો ઉપયોગ કરવામાં આવશે. ફોરેસ્ટ વિભાગના રાજય મંત્રી રમણલાલ પાટકરે કહ્યું કે રેડિયો-કોલરનો ઉપયોગ કરવો પ્લાનનો આવશ્યક હશે. વધુમાં કહ્યું કે, 'ડિવાઈસ જીપીએસથી કનેકટેડ હશે અને દરેક સિંહની પ્રતિક્રિયા અને સિંહની ઉંમર અને કયા વિસ્તારમાં છે તે સહિતની માહિતી નોંધવામાં મદદ કરશે. સિંહને ટ્રેક કરીને તેમને બચાવી શકાય તેમ છે.'

પાટકરે વધુમાં જણાવ્યું કે આગામી એક મહિનામાં આ યોજનાનું અમલિકરણ કરી ૬૦૦ જેટલા એશિયન સિંહો પર રેડિયો-કોલર ડિવાઈસ લગાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પ્રોજેકટ પાછળ ૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોઈ શંકાસ્પદ સ્થિતિ જણાય જેમ કે એક જગ્યાએ સિંહ વધુ સમય સુધી ફસાઈ ગયો હોય વગેરે જેવી સ્થિતિમાં તેમને બચાવવા માટે ફોરેસ્ટ ગાર્ડ અથવા પોલીસને મોકલવામાં આશે. પાટકરે કહ્યું કે સિંહની વસતી ૫૧૩થી વધીને ૬૦૦ થઈ ગઈ છે. જો કે અકુદરતી રીતે ૫૭ સિંહના મોત થતાં આ પગલું ભરવું જરૂરી હતું. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ચિકન માટે સિંહણને લલચાવી પરેશાન કરવામાં આવી રહી હતી.

અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ખુલ્લા કુવામાં પડવાથી કુલ ૧૭ સિંહ મૃત્યુ પામ્યા હતા, ૧૩ સિંહનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું, રોડ પસાર કરતી વખતે ત્રણ સિંહ મૃત્યુ પામ્યા હતા, ડૂબવાથી ૫ સિંહ મૃત્યુ પામ્યા હતા, સ્થાનિકોએ ઝેર આપીને ૨ સિંહની હત્યા કરી હતી, સર્પદંસથી ૨ સિંહ મૃત્યુ પામ્યા હતા, શિકારીઓએ ૧ સિંહની હત્યા કરી હતી અને ઉંચાઈ પરથી નીચે પટકાયા બાદ બ્રેઈન હેમરેજને કારણે એક સિંહનું મોત થયું હતું.

રાજય સરકાર ગીર ફોરેસ્ટમાં ૩૦૦ સિંહ મિત્રોની નિયુકિત કરશે. મુખ્યત્વે સ્થાનિકોમાંથી જ સિંહ મિત્રોની પસંદગી કરવામાં આવશે. તેઓ પોતાની સાથે એક કૂતરાને પણ રાખશે અને સિંહ તથા પ્રવાસીઓની રક્ષાની ખાતરી કરશે. રેડિયો કોલરની વાત કરીએ તો રેડિયો કોલર જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ છે, જેના દ્વારા સિંહ કઈ બાજુ જઈ રહ્યો છે, કેટલી ઝડપે ભાગી રહ્યો છે, ઉભો છે કે કૂદકો લગાવી રહ્યો છે વગેરે જેવી બધી જ માહિતી જાણી શકાશે. આ ડિવાઈસથી સિંહના રિસર્ચમાં પણ મદદ મળી રહેશે.(૨૧.૧૧)

(10:37 am IST)