વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભુવો પડતા લોકોને વાહનની અવરજવર કરવામાં હાલાકી
વડોદરા: શહેરના કારેલીબાગમાં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક ભૂવો પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી. વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડતા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડતા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે. વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીમાં ભુવા પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે. અંગે શિવસેનાના અગ્રણીએ કોર્પોરેશનના તંત્રની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.