૯૦ ટકા ઉભો પાક સાફઃ ૮૦ ટકા કેરી આંબેથી ખરી ગઇ
વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ નુકશાનઃ નાળિયેરના વૃક્ષોને પણ ભારે નુકશાન
નવી દિલ્હી, તા.૧૯: પ્રાથમિક અંદાજ અનુસાર, તૌકતે વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્રમાં લગભગ ૯૦ ટકા ઉભો પાક તબાહ થઈ ગયો છે. આ વાવાઝોડું સોમવારે રાત્રે ગુજરાત પર ત્રાટકયું હતું, અને મંગળવારે રાત સુધી તેની અસર જોવા મળી હતી. કૃષિ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખેતીને થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવા આવતા સપ્તાહથી સર્વેની કામગીરી હાથ ધરાશે. જોકે, વાવાઝોડાંનું જોર જોતાં નુકસાનીનું પ્રમાણ ૯૦ ટકા જેટલું ઉંચું રહેવાનું સરકારી સૂત્રો અંદરખાને જણાવી રહ્યા છે.
સૌથી વધુ નુકસાન દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું છે, જયાં વાવાઝોડાંને કારણે ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે અંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવનને કારણે ૭૦ ટકા જેટલું નુકસાન થયું છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તેમજ બોટાદમાં સૌથી વધુ નુકસાન થયું છે.
કોડીનારના ખેડૂત મનોજ બારડના જણાવ્યા અનુસાર, તેમણે આ વખતે મગનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવાઝોડાં અને વરસાદમાં તેમનું આખું ખેતર જ ધોવાઈ ગયું છે. આટલું જ નહીં, તેમના ખેતરમાં વાવેલી ૨૦ ટકા નારિયેળી પણ ઉખડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે વાવાઝોડું આટલું ઘાતક નીવડશે તેનો કોઈને અંદાજ નહોતો. ધારીના ખેડૂત અરવિંદ દવે જણાવે છે કે, તેમણે ઉનાળું પાકમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તૌકતેમાં બધો પાક તબાહ થઈ ગયો છે.
કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં ૯૦ ટકા ઉભો પાક નાશ પામ્યો છે, જયારે ઉત્ત્।ર ગુજરાતમાં થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ હજુ મેળવવાનો બાકી છે. જો ઉત્ત્।ર ગુજરાતમાં પવનની ઝડપ ૬૦ કિમી પ્રતિ કલાકથી વધુ રહી હોય તો ત્યાં પણ વ્યાપક નુકસાનની શકયતા છે. સામાન્ય રીતે આ સમયે આઠેક લાખ જમીન પર વાવેતર થયેલું હોય છે. આ વખતે પાણીનો પ્રશ્ન ના હોવાથી ૧૦.૫ લાખ હેકટર જમીન પર વાવેતર થયું હતું, જેથી નુકસાન પણ વધુ રહેવાની શકયતા છે.
આ વર્ષે બાજરા અને મગનું વાવેતર ૫૯,૦૦૦ એકર જમીન પર કરાયું હતું, જયારે મગફળીનો વાવેતર વિસ્તાર ૬૦,૦૦૦ હેકટર જેટલો હતો. આ વખતે તલનો વાવેતર વિસ્તાર પણ ખાસ્સો વધ્યો હતો. ગયા વર્ષે ૩૧,૦૦૦ હેકટર જમીન પર તલ વાવવામાં આવ્યા હતા, જયારે આ વખતે આ પ્રમાણ ૯૮,૦૦૦ હેકટર હતું. એક અંદાજ પ્રમાણે રાજયના ૧૦.૫ લાખ વાવેતર વિસ્તારમાંથી ૩૦ ટકા સૌરાષ્ટ્રમાં, ૪૦ ટકા ઉત્તર ગુજરાતમાં અને ૨૩ ટકા મધ્ય ગુજરાતમાં નોંધાયો હતો. જો ઉત્ત્।ર ગુજરાતમાં થયેલું નુકસાન સૌરાષ્ટ્ર જેટલું વ્યાપક હશે તો રાજયમાં લગભગ ૬૦ ટકા ઉભો પાક વાવાઝોડાંને કારણે તબાહ થઈ જશે.