ઓનર કિલિંગ મામલામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
ચકચારી કેસમાં આરોપી ભત્રીજો હજુ પણ ફરાર : ૧૮ વર્ષ પહેલા કાકા અને ભત્રીજાએ પોતપોતાની પત્નીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી : એકની ધરપકડ થઈ
અમદાવાદ,તા.૧૮ : શહેરના નરોડા વિસ્તારમાં વર્ષ ૨૦૦૧માં થયેલા ઓનર કિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જેમાં એવી સનસનીખેજ વિગતો સામે આવી હતી કે, ૧૮ વર્ષ પહેલાં આરોપી અને તેના ભત્રીજાએ ભેગા મળી પોતપોતાની પત્નીઓની હત્યા કરી હતી. પોલીસે આરોપી કાકા એવા મુનેશસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી, જયારે આ કેસમાં હજુ આરોપી ભત્રીજો ફરાર છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, મૂળ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલા ભવનપુરામાં રહેતો મુનેશસિંગ ભદોરીયા વર્ષ ૧૯૯૭માં પત્નીને લઇ અમદાવાદ આવ્યો હતો અને અહીં હીરા ઘસવાનું કામ કરતો હતો. તેની પત્ની અવારનવાર કહેતી હતી કે, તે જ્યારે નાની હતી ત્યારે તેના કાકા બિરેન્દ્રસિંગ અવારનાવર તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. તેની પત્નીને ગર્ભ પણ રહેતો નહી હોવાથી મુનેશસિંગને તેની પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી. દરમ્યાન પોતાના ગામનો ભત્રીજો નરેન્દ્રસિંગ ભદોરીયા પણ તેની પત્નીને લઇ અમદાવાદ આવ્યો હતો. બંન્ને પરિવાર સાથે રહેતા હતા. નરેન્દ્રસિંગની પત્ની સાંજના સમયે કોઇને કહ્યાં વગર અવારનવાર બહાર ફરવા અને મોજમસ્તી કરવા જતી રહેતી હતી. જેથી તેને પણ પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી. બંન્નેને પત્નીઓને મારી નાખવા બાબતે વિચાર આવ્યો હતો. જેના અંજામના ભાગરૂપે, સને ૨૦૦૧માં દિવાળીના બીજા દિવસે સૌ પ્રથમ નરેન્દ્રસિંગે પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી. જેનો અવાજ આવતા મુનેશસિંગની પત્ની દોડી આવી હતી, તેથી મુનેશસિંગે પણ તેની પત્નીનું પણ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મુનેશસિંગે તેની પત્નીનું માથુ નરેન્દ્રસિંગની પત્નીના લાશના ખોળામાં ગોઠવી દીધું હતું. નરેન્દ્રસિંગના બે બાળકો પણ તે સમયે અંદર સૂતા હતા ત્યારે ફ્લેટને તાળું મારી બંન્ને નાસી ગયા હતા. ફરાર થઇ ગયા બાદ જોધપુરથી મુનેશસિંગે પોતાના સસરાના પડોશીની દુકાને ફોન કરી પોતાની પત્નીએ આત્મહત્યા કરી છે, જેથી અમદાવાદ આવી જાવ તેવું જણાવ્યું હતું પરંતુ ૧૮ વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને તેના ગામ નજીકથી જ ઝડપી લીધો હતો અને સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ઓનર કિલિંગને લઇને છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી.