ગુજરાત
News of Monday, 19th April 2021

લોકડાઉન કરવું ન કરવું સરકારનો નિર્ણય છે, મને લાગે છે કે વ્યવસ્થા થઇ રહી છે, બેડની નાની મોટી અછત થઇ હશે, થોડી રાહ જાવી પડી છે પણ વ્યવસ્થા પુરી કરેલી છે, લોકડાઉનની અસર મને લાગતી નથીઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રસી લીધા બાદ આપેલુ નિવેદન

ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. સીઆર પાટિલે આ દરમિયાન લૉકડાઉનને લઇને કહ્યું કે, લૉકડાઉન કરવું ના કરવું તે સરકારનો નિર્ણય છે.

સીઆર પાટિલે રાજ્યમાં પ્રવર્તતા કોરોના સંક્રમણને લઇને કહ્યુ કે, “લૉકડાઉન કરવું ન કરવું સરકારનો નિર્ણય છે. મને લાગે છે કે વ્યવસ્થા થઇ રહી છે, બેડની નાની મોટી અછત થઇ હશે. થોડી રાહ જોવી પડી છે પણ વ્યવસ્થા પુરી કરેલી છે. લોકડાઉનની અસર મને લાગતી નથી.”

કોરોના સંક્રમણ વધતા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લૉકડાઉન લાદવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઇને સમીક્ષા શરૂ કરી છે. ગુજરાત સરકાર રાજ્યના 8 મહાનગરપાલિકામાં 7 દિવસનું આંશિક લૉકડાઉન લગાવે તેવી શક્યતા છે. ડૉક્ટર સંગઠનો અને વેપારીઓએ લૉકડાઉન લાદવા સરકાર સામે રજૂઆત પણ કરી છે.

કેટલીક જગ્યાએ વેપારીઓએ સ્વૈચ્છિક લૉકડાઉનની પણ જાહેરાત કરી છે અને તેને સમર્થન પણ મળી રહ્યુ છે. કોરોનાની ચેન તોડવા માટે લૉકડાઉન જરૂરી છે. કોર કમિટીની સાંજે બેઠક મળશે અને લૉકડાઉન અંગેનો અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યોને પોતાની રીતે લૉકડાઉન લાદવાની છૂટ આપી છે. દિલ્હી- મહારાષ્ટ્ર-રાજસ્થાન જેવા રાજ્યોએ કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉન લગાવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 10,340 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે આ મહામારીને કારણે વધુ 110 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(5:27 pm IST)