ઉમરેઠની ઓડ ચોકડી નજીક સાંજના સુમારે યુવકને ક્રેઈને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત
ઉમરેઠ:તાલુકાની ઓડ ચોકડીએ ગઈકાલે સાંજના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ક્રેઈને ટક્કર મારતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે ઉમરેઠ પોલીસે ક્રેઈનના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ઉમરેઠ શહેરના ગંજ બજાર પાછળ આવેલા વ્યાસના કુવા વિસ્તારમાં રહેતો ફરિયાદી કિશનભાઈ માલાભાઈ વાઘરી પોતાના ભાઈ દિનેશભાઈ (ઉ. વ. ૪૨)સાથે ભંગારની ફેરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે બન્ને ભાઈઓ લોખંડના ભંગારની ફેરી કરીને ચાલતા-ચાલતા ઘર તરફ જતા હતા. દરમ્યાન ઓડ ચોકડીથી સારસા તરફ જવાના રોડ ઉપર પુરપાટ ઝડપે આવી ચઢેલી ક્રેઈન નંબર જીજે-૦૬, એપી-૯૭૦૨એ રોડ ક્રોસ કરી રહેલા દિનેશભાઈને ટક્કર મારતાં તેને માથામાં, છાતીમાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું હતુ.
અકસ્માતને પગલે-પગલે રાહદારીઓ અને આસપાસની દુકાનોવાળા એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન ક્રેઈનનો ચાલક ક્રેઈનને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.