ગુજરાત
News of Monday, 19th April 2021

વિજયનગર તાલુકાના પરોસડા વિસ્તારમાં સીમમાં ગાડી પલ્ટી ખાતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

વિજયનગર: તાલુકામાં પરોસડા વિસ્તારમાં ગુલાબપુરા ગામની સીમમાં એક સ્કોર્પિયો ગાડીના ચાલકે પોતાની ગાડી ઉપરનો કાબૂ ગુમાવતા રોડ ઉપરના વળાંક આગળ પલ્ટી ખાઈ જતાં ચાલકને સારવાર માટે ઇડર ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

જ્યારે વાહનમાં મુસાફરી કરીરહેલા અન્ય બે જણાને શરીરે ઇજાઓ થતા બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિજયનગરના આંતરી ગામના રહીશ રમણભાઈ ધનજીભાઈ ભગોરાએ આજે વિજયનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ વિજયનગર તાલુકામાં પરોસડા પંથકમાં ગુલાબપુરા નજીક એક સ્કોર્પિયો ગાડીના ચાલક પોતાના કબજાની ગાડીને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતો હતો ત્યારે રોડ પરના ગુલાબપુરા ગામ નજીક સ્કોર્પિયો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.  ત્રણેય જણા મૃતક જગદીશભાઈ સાસરી રાજસ્થાનના કૂપડા ગામે ગયા હતા ત્યાંથી પરત ફરતા ગઈકાલે શનિવારે રાતના સાડા સાત વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના ચાલક જગદીશભાઈ મણાભાઈ ભગોરાના શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ઇડરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.જ્યારે અકસ્માતમાં ગાડીમાં પાછળની સીટ ઉપર મુસાફરી કરી રહેલા બે જણ મનોજભાઈ શંકભાઈ ભગોરા અને નરેશભાઈ ઇશ્વરભાઈ ભગોરના શરીરે ઈજાઓ થતાં બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિજયનગર પીએસઓ હંસાબેને અંગે કારના ચાલક સામે ફરિયાદ નોંધી હતી જેની વધુ તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઇ. જે.એમ. પરમારે હાથ ધરી છે.

(5:22 pm IST)