ગુજરાત
News of Saturday, 18th March 2023

આજીવન કેદની સજા ભોગવતાં કેદીને રાજપીપળા જીલ્લા જેલમાંથી જામીન પર મુક્ત કરાયો

જેલ અધિક્ષક આર.બી.મકવાણા કેદીના વતન રેલ્વે ભરાડા ગામે જઇ પિતાને સમજાવતા આખરે પુત્ર ૧૭ વર્ષે જામીન પર મુક્ત થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જીલ્લા જેલના પાકા કેદીનં.૧૧૨૭૬ માનસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા ( રહે- રેલ્વે ભરાડા તા.ડેડિયાપાડા જી.નર્મદા.)ને કામધંધા બાબતે પોતાની માતા પાર્વતીબેન જેઠીયાભાઇ વસાવા સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ જઇ પથ્થર માતા પાર્વતીબેન ને માથાના ભાગે ચાર-પાંચ ઘા મારી દેતાં પાર્વતીબેનનું મૃત્યુ થયેલ હતું. જે મુજબ ડેડિયાપાડા પો.સ્ટે.ગુ.રજી.નં.ફર્સ્ટ-૦૬/

૨૦૦૬ ( સેશન્સ કેસ નં.-૧૫/૨૦૦૬ ) ઇ.પી.કો-૩૦૨ જી.પી.એક્ટ-૧૩૫ ના કામે કેસ ચાલતાં નામદાર સેશન્સ કોર્ટ, રાજપીપળાથી તા.૨૩/૦૮/૨૦૦૬ ના રોજ આજીવન કેદ તથા દંડ રૂ.૧,૧૦૦/- ન ભરવા બદલ ૦૩ માસ ૧૦ દિવસની સજા કરવામાં આવેલ હતી. મજકુર કેદીની નામદાર ગુજરાત હાઇકોર્ટ,અમદાવાદ ખાતે જેલ માધ્યમથી અપીલ દાખલ કરવામાં આવેલ હતી. જે નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ક્રિમીનલ અપીલ નં.૧૧૧૪/૨૦૧૬ તા.૨૨/૦૮/૨૦૧૬ ના રોજ અપીલ દાખલ થયેલ હતી.
ગુજરાત હાઇકોર્ટ,અમદાવાદ ખાતે મજકુર કેદીની અપીલ ચાલી રહેલ છે. જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ક્રિમીનલ અપીલ નં.૧૧૧૪/૨૦૧૬ તા.૧૭/૦૨/૨૦૨૩ ના હુકમ અન્વયે મજકુર કેદીને રૂ.૫૦,૦૦૦/- જામીનગીરી પર અપીલ જામીન પર મુક્ત કરવા અંગેના હુકમો થઇ આવેલ હતાં. મજકુર કેદીએ આશરે ૧૭ વર્ષ જેટલો સમયગાળો જેલમાં વિતાવ્યો હતો. મજકુર કેદીએ તેની માતાનું મૃત્યુ નિપજાવેલ હોવાથી તેના ઘરેથી કોઇ જામીન પર છોડાવા આવેલ ન હતાં. જેથી જેલ અધિક્ષક આર.બી.મકવાણા દ્રારા માનસીંગ જેઠીયાભાઇ વસાવાના વતન રેલ્વે ભરાડા તા.ડેડિયાપાડા જી.નર્મદા સ્થળ વિઝીટ કરી માનસીંગભાઇના પિતા નામે જેઠીયાભાઇ હાથલીયાભાઇ વસાવાનાઓને મજકુર કેદીના નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી અપીલ જામીન પર મુક્ત કરાયા હોવાની જાણ કરેલ હતી અને જામીન ભરાવા માટે સમજણ આપવામાં આવેલ હતી. જેથી જેઠીયાભાઇ હાથલીયાભાઇ વસાવાનાઓ તા.૧૭/૦૩/ ૨૦૨૩ ના રોજ નામદાર સેશન્સ કોર્ટ,રાજપીપળા ખાતે રૂ.૫૦,૦૦૦ ની જામીનગીરી આપેલ જે અન્વયે નામદાર સેશન્સ કોર્ટ, રાજપીપળાના હુકમ અન્વયે મજકુર કેદીને અપીલ જામીન પર મુક્ત કરવાના હુકમ થતાં મજકુરને તા.૧૭/૦૩/૨૦૨૩ ના રોજ અપીલ જામીન પર મુક્ત કરવામાં આવેલ હતો. મજકુર કેદી છેલ્લાં ૧૭ વર્ષથી જેલમાં હોઇ અપીલ જામીન પર મુક્ત થતાં તેને તથા પરિવારમાં ઘણી ખુશી જોવા મળેલ હતી

(11:21 pm IST)