વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજ ઉતરતા સ્ટિયરિંગ લોક થઇ જતા બસ દીવાલ સાથે અથડાઈ
વડોદરા : જંબુસરથી વડોદરા થઇ ઝાલોદ જતી એસ.ટી.બસનું સ્ટિયરીંગ વડોદરા લાલબાગ નજીક વિશ્વામિત્રી બ્રિજ ઉતરતા લોક થઇ જતા બસ બ્રિજ સાથે ધડાકાભેર અથડાઇ હતી.જેના કારણે બસના ડ્રાઇવર અને મુસાફરો સહિત ૧૦ લોકોને ઇજા થઇ હતી. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.જેઓને ઓછીવત્તી ઇજા થઇ હતી.
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજે બપોરે જંબુસરથી ઝાલોદ જવા નીકળેલી એસ.ટી.બસ વિશ્વામિત્રી બ્રિજ ઉતરી લાલબાગ તરફ જતી હતી.તે દરમિયાન બસનું સ્ટિયરીંગ અચાનક લોક થઇ જતા બસ બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઇને ઉભી રહી ગઇ હતી.જેના કારણે બસ ડ્રાઇવર હાર્દિકસિંહ ગણપતસિંહ ભાટીને પગમાં તથા અન્ય નવ મુસાફરોને ઓછીવત્તી ઇજા પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ અને રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.તમામ દર્દીઓ ભાનમાં છે.સારવાર દરમિયાન કેટલાક દર્દીઓ હોસ્પિટલના સ્ટાફને જાણ કર્યા વગર જ જતા રહ્યા હતા.અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.પોલીસે સ્થળ પર જઇને ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો.