પેટલાદ તાલુકાના નાર ગામે તળાવમાં અસંખ્ય માછલિઓના મૃત્યુથી ચકચાર મચી જવા પામ્યો
આણંદ : પેટલાદ તાલુકાના નાર ગામે ગ્રામ પંચાયત નજીક આવેલ વડ તળાવમાં ગતરોજ મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત પાછળનું કારણ શું ? તે અંગે અનેક ચર્ચાઓ ગ્રામજનોમાં થઈ રહી છે.
મળતી માહિતી મુજબ નાર ગ્રામ પંચાયતના સત્તાધીશોની મુદ્દત પુરી થઈ હોવાથી વહીવટદાર તરીકે નિયુક્તિ તલાટી કામગીરી સંભાળી રહ્યા છે. ગતરોજ નાર ગામના વડ તળાવમાં એકસાથે માછલીઓના મોતની ઘટના અંગે તલાટીને જાણ કરવામાં આવતા તેઓ ગુરૂવાર હોવાથી મીટીંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જો કે એકસાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે સૂત્રો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એકસાથે માછલીઓના મોત થવા પાછળનું કારણ તળાવમાં કોઈ કેમીકલ કે પાવડર નાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે કારણ કે તળાવમાં માછલીઓ સાથે રહેતા બે મગર પણ તરફડીયા ખાતા જોવા મળ્યા હતા. જો કે ત્રણેક કલાક બાદ મગરો સ્વસ્થ થતા પુનઃ તળાવની વચ્ચે પાણીમાં ઉતરી ગયા હતા.