શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે ઉજવાશે દ્વાદશ જ્યોતિર્લીંગ પ્રતિષ્ઠા મહોત્સવ
અમેરિકા તા. ૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે આગામી ૫ થી ૯ એપ્રિલ દરમિયાન દ્વાદશ જ્યોતિર્લીંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખાસ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સવાનાહ પધારતા ભક્તજનોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સનાતન મંદિર ખાતે વિશાળ સરોવર આવેલ છે. એ સરોવરની મધ્યમાં ટાપુ ઉપર ભગવાન ભોળાનાથના બાર સ્વરૂપો કે જે દ્વાદશ જ્યોતિર્લીંગ સ્વરૂપે ઓળખાય છે તે બિરાજશે. સાથે સાથે અતિ રમણીય અને કુદરતી વાતાવરણમાં તૈયાર થયેલ આ ટાપુ ઉપર ભગવાનના વિવિધ અવતાર સ્વરૂપો પણ દર્શન આપશે. અમેરિકાની ધરતી ઉપર આ રીતે એક જ જગ્યાએ દ્વાદશ જ્યોતિર્લીંગની સ્થાપના એ અજોડ ઘટના છે.
પૂજ્ય સ્વામીજી તથા સંતોની ઉપસ્થિતિમાં ઉજવાનાર આ મહોત્સવમાં કથાની સાથે સાથે અનેક આયોજનો કરવામાં આવ્યા છે. મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમેરિકા નિવાસી ભક્તો ઉત્સાથી તન-મન-ધનથી સેવામાં જોડાઈ રહ્યા છે.