શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ૧૯મી માર્ચે બે કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરાશે
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ અપાશે
પાટણ :શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના પાટણ જિલ્લામાં બે કડિયા નાકા પર તા. ૧૯ માર્ચના રોજ સવારે ૯.૩૦ કલાકે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેવું, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.
રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અત્યાર સુધી 1.24 કરોડ કરતાં વધારે ભોજનોનું વિતરણ કરવામાં આવેલ છે.
તા.૧૯ માર્ચ, ૨૦૨૩ના રોજ પાટણના ગણપતિ મંદિરની બાજુમાં આવેલા સુભાષચોક અને પાટણ જિલ્લાના ગોળ શેરી નાકાં પર હવેલી પાસે, દોશીવટ બજાર, સધીમાતાના મંદિર સામે, ગોળશેરી, પાટણ.ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે. વધુમાં સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે.