બોરસદ ચોકડી નજીક પોલીસ જવાનની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા પરિણીતાનો આપઘાત:સાસરિયાના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ
બોરસદ: ચોકડીએ આવેલી પોલીસ લાઈનમાં રહેતી એક પોલીસ જવાનની પત્નીએ કરેલા આપઘાત પાછળ તેના પતિ, સાસુ અને સસરા દ્વારા ચારિત્ર્ય અંગે શંકા કરીને ગુજારવામાં આવતો શારીરીક તેમજ માનસિક ત્રાસ હોવાનું ખુલતાં આ અંગે શહેર પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતા ફરિયાદી જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ સુતરીયાની પુત્રી રશ્મિકાના લગ્ન ૨૫-૨-૧૩ના રોજ આણંદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ નારણભાઈ મકવાણા સાથે થયા હતા. શરૂનું એક વર્ષ લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ. જે દરમ્યાન એક સંતાનપ્રાપ્તી થઈ હતી પરંતુ ત્યારબાદ સાસુ અંબાબેન અને સસરા નારણભાઈ દ્વારા ઘરના કામકાજ અંગે વાંધા વચકા કાઢીને તેણી પર ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો. દરમ્યાન છેલ્લા દોઢેક મહિનાથી રશ્મિકાબેને આણંદની ચૈતન્ય હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરી હતી અને પતિ સાથે અલગથી બોરસદ ચોકડીએ આવેલી પોલીસ લાઈનના ક્વોર્ટર્સમાં રહેવા આવી ગઈ હતી. જ્યાં સાસુ અને સસરા દ્વારા આવીને તેણીના ચારિત્ર્ર્ય અંગે શંકા કરીને તેણીના પતિને ચઢવણી કરવાનું ચાલુ કર્યું હતુ જેને લઈને પતિએ તેણીને મારઝુડ ચાલુ કરી દીધી હતી.