સુરતના વરાછામાં એમ્બ્રોડરીના કારખાનામાંથી અગાઉ 1.34 લાખની કિંમતની સાડીઓ ચોરી ગઠિયો રફુચક્કર:પોલીસ ફરિયાદ
સુરત: શહેરના વરાછા ઉમિયા ચોક કબીરવડ સોસાયટીમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાંથી 17 દિવસ અગાઉ કોઈક રૂ.1.34 લાખની કિંમતની 133 નંગ સાડીઓ ચોરી ગયું હતું. કારખાનેદારે પોતાની રીતે ચોરની તપાસ કરી હતી પરંતુ ભાળ નહીં મળતા છેવટે આજરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા શિવધારા રેસીડન્સી એ/2/402માં રહેતા 24 વર્ષીય મિલનભાઈ રમેશભાઈ વાડદોરીયા વરાછા ઉમિયા ચોક ફૂલ માર્કેટ રોડ કબીરવડ સોસાયટી ખાતા નં.25,26ના પહેલા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. ગત બીજીની બપોરે એક વાગ્યે તે કામ પતાવી ઘરે ગયા હતા જ્યારે કારીગરો કામ કરતા હતા. દરમિયાન, બીજા દિવસે સવારે તે કારખાને પહોંચ્યા ત્યારે દરવાજા પાસે પડેલા સાડીના બંડલ અધૂરા લાગતા ગણતરી કરી તો તેમાં રૂ.1,34,330ની કિંમતની 133 નંગ સાડી ઓછી હતી. તેમણે આ અંગે તપાસ કરી હતી પરંતુ સાડી કોણ ચોરી ગયું તે અંગે ભાળ મળી ન હતી. આથી આજરોજ મિલનભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.