મહાશિવરાત્રીએ અમિતભાઇ શાહ વડોદરામાંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી
વડોદરા : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 21 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીના પ્રસંગે વડોદરા આવવાના છે. તેમના આગમન પૂર્વે પોલીસે બંદોબસ્તની રૂપરેખા ઘડી કાઢી છે. આ બંદોબસ્ત માટે સુરસાગર ફરતે 1000 સુરક્ષા કર્મીઓ ખડકાશે અને આ માટે ખાસ પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ સિવાય સુરસાગર તળાવની ચારેબાજુ 100 હાઇરાઇઝ પોઈન્ટ ગોઠવવામાં આવશે.
વડોદરાના મ્યુનિ કમિશનર નલિન ઉપાધ્યાયએ હાલમાં જાહેરનામું બહાર પાડ્યું છે અને સુરસાગર તળાવને ફરતે લારી, ગલ્લા અને કેબિનનું દબાણ ન કરવાની ચેતવણી આપી છે. આ સિવાય સુરસાગર તળાવમાં કચરો ન ફેંકવા પણ ચેતવણી આપી છે. આ સિવાય જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે મહાશિવરાત્રીના દિવસે ગૃહમંત્રી અમિત શાહને શિવજીની મહાઆરતીમાં જોડાવવા મંદિરના ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલું આમંત્રણ સ્વીકાર્યું હતું. જેના કારણે અમિત શાહના આગમનને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21મીએ વડોદરામાં સુરસાગર તળાવનું લોકાર્પણ માટે અપાયેલું નિમંત્રણ અપાયું હતું. આ તળાવ 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે.