ગુજરાત
News of Tuesday, 19th February 2019

આણંદના જીટોડિયામાં ફોન પર નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં ચારને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

આણંદ:શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલા સેન્ટ્રલવેરની પાછળ આવેલા વણઝારા નિવાસમાં રહેતા ગુલાબભાઈ રતીલાલ વણઝારાના ભત્રીજાને સુનીલ રાજુભાઈ વસાવા સાથે ફોન પર બોલાચાલી થઈ હતી. 

જેથી ગત ૧૫મી તારીખના રોજ બપોરના સુમારે કોકીલાબેન દરબારના ઘરે સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં સુનીલ, કીરણ ઉર્ફે છરી, અજય વસાવા અને કેતન ઉર્ફે ભુટ્ટો આવી ચઢ્યા હતા અને સમાધાનની વાતો કરતા હતા ત્યારે એકાએક સુનીલ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને પોતાની પાસેનું લાકડાનું સાંબેલુ લઈને ગુલાબભાઈના હાથે મારી દીધું હતુ. સુનીલ ઉર્ફે છરીએ પોતાની પાસેની લોખંડની પાઈપ બાબુજીને ઢીંચણના ભાગે મારી દીધી હતી. અજય વસાવાએ વચ્ચે પડનાર કિશનભાઈની પુત્રી આરૂષીને પણ લાકડાના ડંડાથી માર મારી હતી. ભારે હોહા થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વધુ મારમાથી છોડાવ્યા હતા. જતાં જતાં બે બાઈકોની કેતન ઉર્ફે ભુટ્ટોએ તોડફોડ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસે ચારેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:43 pm IST)