ગુજરાતમાં ટેરેરિસ્ટ એટેકની આશંકાના પગલે મહેસાણામાં જાહેર સ્થળોએ વધુ સુરક્ષાનું આયોજન
મહેસાણા:તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની બસ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત રાજયની ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતમાં પણ ટેરરીસ્ટ એટેકની આશંકા વ્યક્ત કરી છે. જેના પગલે ઉત્તર ગુજરાતમાં આવેલા જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પુલવામા ખાતે પાકિસ્તાન આયોજિત આતંકી હુમલામાં સીઆરપીએપના ૪૨ જવાનો શહીદ થયા હતા.આ ઘટનાના દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની લાગણી લોકો વ્યકત કરી રહ્યા છે. તેવામાં ગુજરાત રાજયની ગુપ્તચર એજન્સીઓએ આપેલા ઈનપુટ અનુસાર ગુજરાતમાં આવેલા જાહેર સ્થળો મંદિરો અને રેલવે સ્ટેશનોને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. મહિલા સાથેના સ્યુસાઈડ બોમ્બર રેલવે સ્ટેશન પર બલાસ્ટ કરી શકે તેવી આશંકા જણાવી છે. જેના પગલે ઉત્તર ગુજરાતમાં આવેલા જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, મંદિરો સહિતના સ્થળોએ સુરક્ષા સઘન બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.