એસ.ટી. વધુ ૧૪૫૦ બસો વસાવશે
બંદરો દ્વારા પરિવહનમાં ૩૧ ટકા વધારોઃ ૨૩ બસ સ્ટેશનોનું નવીનીકરણ થશે
ગાંધીનગર, તા. ૧૯ :. રાજ્યના અર્થતંત્રમાં બંદરોનું અને લોકોની સુખાકારીમાં વાહન વ્યવહારનું આગવું મહત્વ છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવી નીચે મુજબ કેટલીક અગત્યની જાહેરાત કરી છે.
વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતના બંદરો મારફત થયેલ પરિવહન ૩૧૧ મિલીયન મેટ્રીક ટન હતુ. જે દેશના કુલ પરિવહનનો ૩૧ ટકા જેટલો માતબર હિસ્સો છે.
ખંભાતના અખાતમાં ઘોઘા અને દરેજ વચ્ચે પેસેન્જર અને કોમર્શિયલ રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વિતીય તબક્કામાં રો-પેકસ ફેરી સર્વિસ અને તેનુ કોમર્શિયલ ઓપરેશન પણ ઓકટોબર, ૨૦૧૮મા શરૂ કરી દેવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હાલ ૮૦૦૦થી વધુ બસો ચલાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૪૫૦ નવી બસો વસાવવામાં આવશે. ગ્રીન એનર્જી અને સ્વચ્છ વાતાવરણના પાલન હેતુ સીએનજી અને ઈલેકટ્રીક વાહનો પણ વસાવવામાં આવી રહેલ છે. ૨૨ જૂના બસ સ્ટેશન - ડેપોના સ્થાને નવીન બસ સ્ટેશન બનાવવાનું ૧૦ બસ સ્ટેશનના અપગ્રેડેશન તેમજ ૩ જૂની સ્ટાફ કોલોની તોડીને કર્મચારીઓ માટે નવા અને સારા કવાર્ટર બનાવવાનું આયોજન કરેલ છે.(૨-૨૩)