વડોદરાના નંદેશરીમાં 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેર ગટગટાવ્યું
વડોદરા:શહેર સહિત છોટાઉદેપુર અને પંચમહાલમાં મળીને છેલ્લા ૨૪ કલાકમાં આપઘાતના ૪ કિસ્સાઓ નોંધાયા છે. વડોદરા નજીક નંદેસરીમાં એક ૧૭ વર્ષની કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો તો અકોટામા રહેતા યુવકે ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી હતી.
અકોટા વિસ્તારમાં પોલીસ લાઇન સામે આવેલ શિવશક્તિ નગરમાં રહેતો અને કારેલીબાગમાં છોલે-કુલ્ચાની લારી ચલાવતો મંગલીક લક્ષમણ રાજપૂતે બુધવારે પોતાના ઘરમાં જ પંખાના હુકમાં નાયલોનની દોરીથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે એવુ અનુમાન લગાવ્યુ છે કે આર્થિક સંકટના કારણે આ પગલુ ભર્યુ હશે. મંગલીકના પરિવારમાં પત્ની અને ૪ થી ૫ વર્ષના બે બાળકો છે જેઓ નિરાધાર થઇ ગયા છે.
બીજા બનાવમાં નંદેશરીમાં રહેતી એક ૧૭ વર્ષની કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા ત્યારે કિશોરીએ અનાજમાં નાખવાની ગોળીઓ ગળી લીધી હતી તેને ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત થયુ હતું.
ત્રીજો બનાવ કવાંટ તાલુકાના પાનવડ ગામને બન્યો હતો જ્યાંર ૨૩ વર્ષના ભારસિંહ ભોલાભાઇ રાઠવાએ તા.૧૫ જાન્યુઆરીએ સાંજે ૫ વાગ્યે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને પ્રથમ સારવાર માટે કવાંટ ખાતે અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
ચોથા બનાવમાં પંચમહાલના મોરવા હડફ તાલુકાના કેલોદ ગામની યુવતીએ ઉતરાણના દિવસે કાકરીયા ગામ પાસે પાનમ નદીની કોતરમાં પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવી હતી પ્રેમીનું કાલે મોત થયુ હતુ જ્યારે યુવતીનું આજે મોત થયુ છે.